દ્વારકામાં ૧ રૂપિયાના ટોકનદરે લગ્નઃ ૧૩ વર્ષમાં ર૮૩ લગ્ન થયા
વસંત પંચમીના મુહુર્તમાં ૪ નવદંપતી લગ્નગ્રંથીથી જોડાયા
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૭ : દ્વારકાના શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર દ્વારકા ટ્રસ્ટ સંચાલિત આદર્શ લગ્નોત્સવ સમિતી દ્વારા તા. ર૬મી જાન્યુ ર૦૦૮ થી શરૂ કરાયેલી પ્રેરણારૂપ માત્ર એક રૂપિયામાં થતી અનોખી લગ્નવિધિના આજે વસંત પંચમીના શુભ અવસરે એક સાથે ચાર લગ્નો યોજાતા કુલ ર૮૩માં લગ્ન પૂર્ણ થયા છે. ટુંકા ગાળામાં જ રઘુવંશી સમાજના દરેક સ્તરના અને ખાસ કરીને ગરીબ તથા મધ્યવર્ગીય પરીવારો માટે આશીર્વાદરૂપ આ લગ્નવિધિ માટે સમાજના અનેક અગ્રણીઓનો ઉમદા સહયોગ સાંપડયો છે.
કુંવરબાઇનું મામેરૃં, લગ્નવિધિ તથા ભોજન સમારંભ સહિતની સુવિધા
દરેક આદર્શ લગ્નોત્સવ માટે સંસ્થા તરફથી કન્યા પક્ષને કુંવરબાઇનું મામેરા માટે દાગીના સાથેનો કરિયાવર તેમજ બન્ને પક્ષના પ૧ વ્યકિતઓનો સમાવેશ કરી કુલ ૧૦ર વ્યકિતઓનું ભોજન સમારંભ તેમજ લગ્ન પ્રસંગ માટેનો ગોર મહારાજની વિધિનો ખર્ચ તેમજ દિકરીના માંડવાનો ખર્ચ મળી કુલ રૂ.રપ,૦૦૦ રૂપિયાનો ખર્ચ સંસ્થા તરફથી માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જ સાથે કરાવી આપવામાં આવે છે.(તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)