ગારિયાધાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ નિઃસહાય બન્યા : દોેઢ વર્ષથી હપ્તા ચુકવાતા ન હોવાની રાવ
ગારીયાધાર તા.૧૭ : નગરપાલીકા હસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પેઝ એકના લાભાર્થીને છેલ્લા દોઢ વર્ષમાં ૭૦૦૦૦નો મળવાપાત્ર હપ્તો બેદરકારીના લીધે ચુકવણી થતો નથી જયારે તેમની પાછળ આવાસ યોજનાના ફોર્મ ભરનારા લાભાર્થીઓને સમયસર હપ્તા ચુકવણી થઇ રહી છે.
ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાને અનેકવાર રાવો ઉઠવા પામી છે ત્યારે ૪૨ જેટલા લાભાર્થીઓને આવાસ યોજનાના દોઢ વર્ષથી હપ્તા ન મળતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
જે આવેદનપત્રમાં લાભાર્થીઓને સ્થાનિક નગરપાલીકા કચેરી ખાતે કોઇ જવાબ નથી મળતો તેમજ વડી કચેરી ખાતે પણ તેમની દરખાસ્ત ન મળી હોવાની વાત કરી બંને કચેરી દ્વારા ધકકા ખવરાવી લાભાર્થીઓને લોલીપોપ અપાય છે.
આ ૪૨ પૈકીના કેટલાક લાભાર્થીઓ વ્યાજે પૈસા લાવી વ્યાજ ભરતા થઇ ગયા છે તો કેટલાક લાભાર્થીઓને બનાવેલુ મકાન વેચવાનો વારો આવ્યો છે.