આજે રાત્રે તૌકતે વાવાઝોડું પોરબંદર-મહુલાના દરિયાકાંઠે ટકરાશે :150થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની શકયતા .
પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં નુક્શાનની ભીતિ :સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી
રાજકોટ :સૌરાષ્ટ્ર તરફ આગળ વધતાં તૌકતે વાવાઝોડાને લઈને હવામાન વિભાગે નવું બુલેટિન જાહેર કર્યું છે. જેમાં જણાવાયું છે કે વાવાઝોડું 18 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલ તે વેરાવળથી 350 કિમી, દીવથી 310 કિમી દૂર છે.
આજે સાંજ સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. પોરબંદર-મહુલાના દરિયાકાંઠે તૌકતે ટકરાશે. આ સાથે જ મંગળવારે અહીં પવનની ગતિ 150થી 175 કિમી પ્રતિ કલાક હોય શકે છે.
ભારે પવન સાથે ગુજરાતમાં અનેક શહેરોમાં વરસાદ થઈ શકે છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં બપોર બાદ વરસાદ થઈ શકે છે. કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ હવામાન વિભાગે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સુચના આપી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડાના કારણે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં મહત્તમ નુકસાન થઈ શકે છે.