વાવાઝોડા પૂર્વે માંડવીથી કોરોનાના ૪૬ દર્દીઓને ભુજ ખસેડાયા
અન્ય સ્થળોએ સારવાર લેતા દર્દીઓ માટે જનરેટર સેટ, ઓકિસજન તૈયાર રાખવા તાકિદ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : તૌકતે વાવાઝોડા પૂર્વે કચ્છમાં તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓ માટે તકેદારીના પગલા માટે તજવીજ હાથ ધરાઇ છે. તે અંતર્ગત માંડવીમાં દરિયા કિનારે મસ્કા ગામે આવેલ શ્રી સર્વ સેવા સંઘ સંચાલિત કોરોનાની નિશુલ્ક સારવાર કરતી હોસ્પિટલના ૪૬ દર્દીઓને ભુજની સરકારી સમરસ હોસ્પિટલ મધ્યે ખસેડાયા છે. આ ઉપરાંત પ્રભારી સચિવ અને કલેકટર દ્વારા વાવાઝોડાને કારણે તમામ કોવીડ હોસ્પિટલોને દર્દીઓની સારવાર દરમ્યાન તકેદારીના ભાગ રૂપે જો લાઈટ જાય અથવા તો વાહન વ્યવહારમાં વિક્ષેપ પડે તો જનરેટર સેટ અને ઓકિસજનની વ્યવસ્થા જળવાઈ રહે માટે તાકીદ કરાઇ છે.
કચ્છમાં કોરોના હવે ધીરે ધીરે અંકુશમાં આવી રહ્યો છે. સાજા થયેલા દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. તો, મૃત્યુ પામનારા ની સંખ્યા પણ ઘટી રહી છે. સરકારી ચોપડે નવા ૧૭૩ કેસ સાથે સારવાર લેતાં દર્દીઓ ૩૭૩૭ થયા છે. જયારે વધુ ૨ મોત થયા છે. સાજા થનાર દર્દીઓ ૧૪૦ નોંધાયા છે. હવે કચ્છની સરકારી હોસ્પિટલોમાં ૪૪૯ ઓકિસજન વાળા, ૨૦ વેન્ટિલેટર વાળા બેડ સાથે ૧૩૯૧ સાદા બેડ ખાલી છે.