સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

એનડીઆરએફની ૪ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ રવાના : કોવિડ હોસ્પિટલમાં વિજ પુરવઠો અને ઓકિસજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે : રવિશંકર

વાવાઝોડા તાઉ'તે જામનગરમાં ત્રાટકવાની શકયતાને લઇને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓથી પત્રકારોને માહિતીગાર કરતાં જામનગર જિલ્લા કલેકટર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૭: હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તથા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, કચ્છ,  અમરેલી અને જામનગર જિલ્લાઓમાં 'તાઉ'તે' વાવાઝોડું ત્રાટકે તેવી ચેતવણી આપવામાં આવેલ છે. જે અનુસંધાને આજરોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી રવિશંકર દ્વારા જિલ્લાના પત્રકાર મિત્રોને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓથી માહિતગાર કરેલ હતા.

કોવીડ હોસ્પિટલમાં વિજ પૂરવઠો અને ઓકસીજની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. હોસ્પિટલના કોઇપણ દર્દીઓને તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ જણાવતા કલેકટરશ્રી રવિશંકરએ વધુમાં ઉમેર્યું કે, એનડીઆરએફની બે ટીમો જામનગર જિલ્લાને સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ છે. એનડીઆરએફની બે ટીમો માંથી ચાર ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ ટીમોને રવાના કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં આવનારા 'તાઉ'તે'  વાવાઝોડુથી સંભવિત અસર થનાર હોય તેવા ૧ હજારથી વધુ લોકોને તાત્કાલીક ખસેડવાની જરૂર પડે તેમ છે જયારે આગળ જતા ભવિષ્યમાં કુલ ૩ હજાર થી વધુ લોકોને ખસેડવાની તૈયારીઓ વહિવટીતંત્ર દ્વારા કરેલ છે.

જામનગર જિલ્લાના દરિયો ખેડવા ગયેલા માછીમારીની વિગતો આપતાં કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું કે, ૭૫૨ જેટલા માછીમારો દરિયો ખેડવા ગયા હતા જે બધા જ પરત આવી ગયેલ છે. જામનગર જિલ્લાની રજીસ્ટર બોટો અત્યારે એક પણ નથી.

 લોકોને નમ્ર અપિલ કરતાં કલેકટરશ્રી રવિશંકરએ કહ્યું કે,  સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા પોલિસ અને વહિવટીતંત્રની ટીમો જો તમને સુરક્ષીત સ્થાને ખસેડવા માટે આવે તો તેમને સાથ આપવો અને સગર્ભા સ્ત્રીઓને આવનાર ૧૫ દિવસમાં ડીલેવરીની સંભવિત તારીખ આપેલ હોય તો કોઇ સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા ખેડૂતોએ તેમની જણસો ખૂલ્લામાં હોય તો સુરક્ષીત જગ્યાએ લઇ લેવા તથા વધારે વરસાદની પરિસ્થિતિમાં પશુઓને બાંધી ન રાખવા જણાવી ઉમેર્યું કે, વહિવટી તંત્ર નાગરિકોને સુરક્ષીત રાખવા પૂરતા પ્રયાસો કરશે જ પરંતુ નાગરિકોએ પણ તેમનો સાથે આપશે તેવી આશા વ્યકત કરી હતી.

(12:59 pm IST)