સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

તોકતે વાવાઝોડાના સંભવિત પડકારને પહોંચી વળવા ગીર-સોમનાથ જિલ્લાનું વહિવટીતંત્ર સંપૂર્ણ સજ્જ : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી : કામગીરીની વિસ્તૃત સમીક્ષા : કોરોના દર્દીઓની સાવચેતી અને સલામતીને પ્રાથમિકતા આપવા સુચના

(દિપક કકકડ દ્વારા) વેરાવળતા. -૧૭, રાજ્યનાં દરીયાકિનારાનાં વિસ્તારોમાં તોકતે વાવાઝોડા સંકટ સામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યનો વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે આજે ગીર-સોમનાથ ખાતે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહી જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તોકતે વાવાઝોડાની અસરથી સંભવિત  અસરગ્રસ્ત વિસ્તારો માટે બચાવ કામગીરીની થઇ રહેલી કામગીરીની પણ વિગતો મેળવી હતી. ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠકમાં કલેકટરશ્રી અજય પ્રકાશે લેવામાં આવેલા પગલાની મંત્રીશ્રીને વિગતવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની તમામ વ્યક્તિઓને શાળાઓ ઉપરાંત અન્ય સલામત સ્થળોએ પહોંચાડી દેવામાં આવ્યા છે. આ બેઠકમાં મંત્રીશ્રીએ કોરોનાગ્રસ્ત દર્દીઓની સાવચેતી અને સલામતીને પ્રાથમિકતા આપવા વહીવટી તંત્રને ખાસ જણાવ્યું હતું. તેમજ વાવાઝોડાની સ્થિતિમાં વીજળી ખોરવાતા સમયે પુર્વ તૈયારીની પણ જાણકારી મેળવી હતી. તેમજ હોસ્પિટલોમાં જનરેટર/ઇનવેટરની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.

કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં બચાવ રાહત કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી. સમગ્ર જિલ્લામાં એન.ડી.આર.એફ.ની ટીમની વ્યવસ્થા કરાઇ છે. જેમાંથી ઉના, સુત્રાપાડા અને વેરાવળ ખાતે આ ટીમ તૈનાત કરી દેવાઇ છે. અસરગ્રસ્તો માટે ફ્રુડપેકેટની વ્યવસ્થા કરાઇ છે. તમામ ગામોમાં પાણી પૂરવઠાની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે જાહેરમાર્ગો પર વૃક્ષો પડી જાય તેવા સંજોગોમાં વાહન વ્યવહાર ન અટકે તે માટે માર્ગ મકાન વિભાન અને વન વિભાગ દ્રારા વૃક્ષો ખસેડીને રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરીની પણ વ્યવસ્થા કરાઇ છે. 

આ બેઠકમાં સંસદસભ્યશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી ભગાભાઇ બારડ, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવીન્દ્ર ખટાલે, અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, અગ્રણીશ્રી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંગભાઇ પરમાર, સહિત સબંધિત તમામ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:27 pm IST)