પોરબંદરના કુછડીમાં ગેરકાયદે ખનીજ ખાણ ઉપર દરોડોઃ ૧૩ કટર મશીનો સહિત લાખોનો મુદામાલ જપ્ત
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુછડીમાં ગેરકાયદે ચાલતી ખનીજખાણ ઉપર દરોડો પાડીને ૧૩ કટર મશીનો, ૩ ટ્રેકટરો અને ર ટ્રક સહિત લાખોનો મુદામાલ જપ્ત કરેલ છે.
જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસમાં અશોક શર્માની સુચના અનુસાર બિનઅધિકૃત રીતે ખનીજ ખનન અંગે નિયમાનુસાર કાર્યવાહી થઇ રહી છે. પોરબંદર તાલુકાના કુછડીગામે ગ્રામ્ય મામલતદારવી.એ.વરૂ તેમજ બંન્ને સર્કલ ઓફિસર તેમજ સ્ટાફે ખરાબાની જમીન પર નિયમ વિરૂધ્ધ ખનીજ ખનન અંગે તપાસ કરી ૧૩ ચકરડી, ત્રણ ટ્રેકટર અને બે ટ્રક પકડી નિયમાનુસારની કાર્યવાહી કરી ખાણ ખનીજ તંત્રને મોકલી આગળની કાર્યવાહી હાથ રવામાં આવેલ છે. તેમ મામલતદાર ગ્રામ્ય દ્વારા જણાવાયુ છે.
માધવપુરથી મિયાણી સુધીની દરિયા પટ્ટી ઉપર જિલ્લા વહીવટીતંત્રએ ડ્રોન વિમાન ઉડાડીને પણ અંતરિયાળ વિસ્તારોમાંથી ખનીજ ચોરી પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયાની અંદર લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરીને તમામ જગ્યાએ ખાણ માપણીની કાર્યવાહી હાથ ધરાય છે.