કાલથી સાળંગપુર શ્રી હનુમાનજી મંદિરમાં કોરોના મહામારીમાંથી મુકિત માટે સવા લાખ શ્રી હનુમાન ચાલીસા પાઠ
પુરૂષોતમ મહિનામાં વિશેષ પુજન-અર્ચના કાર્યક્રમો
વાંકાનેર, તા. ૧૭ : સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સર્વે જગતના જીવ માત્રની સુખાકારી માટે અને વિશ્વશાંતિ માટે આગામી તા. ૧૮ ને શુક્રવારથી શરૂ થતા અધિક માસ (પુરૂષોતમ માસ) માં આખો મહિનો દરરોજ સવારે ૭ થી સાંજના ૭ સુધી ષોડસોપચાર પૂજન સાથે બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવેલ છે. જેની તૈયારી હાલ ચાલી રહી છે. તેમજ અધિક માસ દરમિયાન દર શનિવારે ભવ્ય ષોડસોપચાર પૂજન આરતી ૬-૩૦ કલાકે કરવામાં આવશે. જેમાં સંપૂર્ણ માસમાં સવાલ લાખ શ્રી હનુમાન ચાલીસા કરાવી કળીયુગના જીવતા-જાગતા અને સાળંગપુરમાં સાક્ષાત બિરાજમાન એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણોમાં કોરોના મહામારીનો નાશ થાય અને માનવ જીવન વહેલી તકે પૂર્વવત થાય એવી પ્રાર્થના કરવામાં આવશે. મંદિર દ્વારા આયોજીત આ સેવા સંકલ્પનો લાભ લેવા અને વિશેષ માહિતી માટે સંસ્થાના મો. ૯૮રપ૮ ૩પ૩૦૪, ૦પ, ૦૬ નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.