સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th September 2021

પોરબંદર પાસે કાર પલ્ટી જતા બે સગા તથા બે કૌટુંબીક ભાઈઓ સહિત ૪ના મોત

ખંભાળિયાના ખજુરિયા ગામનો ચંદ્રવાડિયા પરિવાર માંગરોળના લોએજ જતા ચિકાસા અને નરવાઇ ગામ વચ્ચે અકસ્માતમાં ૨ને ગંભીર ઈજા

ખંભાળીયાઃ તસ્વીરમાં મૃતકો અને ઈજાગ્રસ્તો તથા પલ્ટી ખાઈ ગયેલ કાર નજરે પડે છે.(તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(પરેશ પારેખ-કૌશલ સવજાણી દ્વારા) પોરબંદર-ખંભાળીયા, તા. ૧૭ :. પોરબંદર - વેરાવળ હાઇવે ઉપર કાર પલ્ટી જતા બે સગા ભાઈઓ તથા બે કૌટુંબીક ભાઈઓ સહિત એક જ પરિવારના ૪ વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં ગંભીર હાલતમાં ૩ વ્યકિતને સારવાર માટે પોરબંદરની હોસ્પીટલમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળિયા પાસે ખજુરિયા ગામના ચંદ્રવાડિયા પરિવારના સભ્યો માંગરોળના લોએજ ગામે જઇ રહ્યા હતા ત્યારે પોરબંદર-વેરાવળ હાઈવે ઉપર ચિકાસા અને નરવાઈ ગામ વચ્ચે સવારે કારના ડ્રાઇવરે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર પલટી જતાં કારમાં બેઠેલા કિશનભાઇ ચંદ્રવાડિયા, મયુરભાઇ ચંદ્રવાડિયા તથા ઘેલુભાઇ ચંદ્રવાડિયા રે. ખજૂરિયા (ખંભાળિયા) સહિત ૪ના મૃત્યુ થયેલ છે.

કાર પલટી મારી જતા અકસ્માતમાં કારમાં બેઠેલા અન્ય બે વ્યકિતઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે.

આ અકસ્માતથી નાના એવા ખજુરીયા ગામમાં ઘેરો શોક છવાઈ ગયો છે. એક જ પરિવારના ૪ વ્યકિતના અકસ્માતમાં ભોગ લેવાતા અરેરાટી વ્યાપી ગઈ છે. ચારેયના મૃતદેહોને પોરબંદર હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ છે. પોરબંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:02 pm IST)