મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ભાગેડુ પૂર્વ સરપંચની લોનાવાલાથી ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જયવીરસિંહ જાડેજાની ધરપકડ, આજે બન્ને મૃતક યુવાનનું ૧૨ મુ હોઈ ભાગેડુ આરોપીઓને પકડવા આક્રોશ વ્યકત કરાયો હતો
ભુજ : બબ્બે મોત બાદ કચ્છ સહિત રાજ્યભરમાં ચકચારી બનેલ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ઉપર ભારે દબાણ છે. તે વચ્ચે વધુ એક ભાગેડુ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લોનાવલાથી ધરપકડ કરી છે. આથી અગાઉ એક પોલીસ કર્મી ગફુરજી ઠાકોરને એટીએસે બનાસકાંઠા માંથી ઝડપી લીધો હતો. હજીયે આ ગુનામાં પોલીસ કર્મીઓ શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા, અશોક કન્નડ ને પકડવા બાકી છે. આજે બન્ને મૃતક યુવાનોનું ૧૨ મુ હોઈ સમાઘોઘા ગામે શોકનો માહોલ હતો. ચારણ ગઢવી સમાજના પ્રમુખ વિજયભાઈ ગઢવીએ ભાગેડુ આરોપીઓને પકડી પાડવા આક્રોશ વ્યકત કર્યો હતો. જોકે, રાજકીય આગેવાનો આ બન્ને યુવાનોના પરિવારજનો ને સાંત્વના દેવા આવ્યો ન હોઈ રાજકીય આગેવાનો સામે પણ ભારે નારાજગી વ્યકત થઈ રહી છે.