ધોરાજીની સફુરા નદી કચરો અને ગંદકીથી છલોછલ :પશુઓને પીવું પડે છે દૂષિત પાણી : પ્રિ મોન્સુન કામગીરીમાં સફૂરા નદી સંવિષ્ઠ નહી
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : નદીઓને લોકો લોકમાતા તરીકે પૂજે છે. ત્યારે ધોરાજીમા આવેલ સફુરાં નદી પાણીથી નહી પરંતું કચરો અને ગંદકીથી ખદબદી રહી છે. અને જવાબદાર તંત્ર દ્વારા કોઇપણ જાતની સફાઈ કે દરકાર કરવામા આવતી નથી. કેન્દ્ર સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખુબજ ગંભીરતા પૂર્વક કામગીરી કરી રહ્યું હોય ત્યારે તંત્રનું ઉદાસીન વલણ શરમજનક ગણી શકાય.
ધોરાજીના ઇતિહાસવિદોનાં મત મૂજબ ૧૮૯૬ માં સર ભગવતસિંહ જી દ્રારા રાહત કામ શરુ કરી નદીનું વહેણ બદલાવ્યું હોવાની વાત જાણવા મળી રહી છે. ત્યારે આજે એ નદીમાં સાફ સફાઈ થતી ન હોવાથી સફૂરાં નદી ગંદકી અને કચરાનું ઘર બની રહી છે.
સફૂરાનદી કાંઠે પ્રાચીન શિવ મંદિર આવેલું છે. જ્યાં અનેક લોકો એકઠા થતાં હોય, ધાર્મિક વિધિ વિધાન થતાં હોય પરંતું ગંદકી, કચરો અને દૂષિત પાણી ને કારણે નદીની પવિત્રતા જળવાતી નથી.
સાથોસાથ પશુપાલન વ્યવસાય કરતા માલધારી ભાઈઓએ જણાવેલ કે સ્વચ્છતાના અભાવે પાણી દુષિત થઇ ગયું છે. આવું પાણી પશુઓને પીવડાવવું પડી રહ્યું છે.
હાલ ચોમાસા પૂર્વે પ્રિ મોન્સુન કામગીરીમાં પણ સફૂરા નદીનો ક્યાંય સમાવેશ થયો નથી. બેફિકર તંત્રની આંખ ઉઘડે તેવી લોક માગણી પ્રવર્તી રહી છે