લાંચ કેસમાં ઝડપાયેલા ભુજના નશાબંધી અધિક્ષક પાલાભાઈ પરમારના જામીન રદ્દ
રહેણાક મકાનની તપાસ દરમ્યાન ૭.૮૪ લાખ જેટલી રકમ પણ મળી હતી
ભુજ : શહેરના બહુમાળી ભવનમાં આવેલી નશાબંધી કચેરીના વર્ગ ર કક્ષાના અધિક્ષક પાલાભાઈ પરમારના લાંચ કેસમાં સ્પેશિયલ એસીબી કોર્ટે જામીન રદ્દ કર્યા છે.
આ કેસની વધુ વિગત મુજબ બહુમાળી ભવન ખાતે આવેલી નશાબંધી કચેરીમાં અધિક્ષક પાલાભાઈ મોહનભાઈ પરમાર હેલ્થ પરમીટ લેવા માટે આવતા અરજદારો પાસેથી હેલ્થ પરમીટ કાઢી આપવાની અવેજીમાં ગેરકાયદેસર રીતે લાંચ પેટે રૂા. ર હજારથી પ હજારની માંગણી કરી સ્વીકારે છે. તેને આધારે એસીબીએ છટકુ ગોઠવી રૂા. ર હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા. ગુના સમય દરમ્યાન રહેણાક મકાનની તપાસ દરમ્યાન ૭.૮૪ લાખ જેટલી રકમ પણ મળી આવી હતી.
ઝડપાયેલા અધિક્ષકને સ્પેશીયલ એસીબી કોર્ટમાં રજૂ કરાયા હતા, જયાં જામીન મેળવવા અરજી કરતા સ્પેશિયલ જજ શ્રી પવારે જામીન રદ્દ કર્યા હતા. સરકાર તરફે સરકારી વકિલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલિલો કરી હતી.