સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

હળવદ : સાવકી માતાએ બાળકને કેનાલમાં ફેંકી દીધુ

સાવકી માતાની હેવાનિયત : સાવકી માતાની થિયરી પર પોલીસને શંકા જતા આકરી પૂછપરછમાં ભાંડો ફૂટ્યો : નવમાં દિવસે મૃતદેહ મળ્યો

મોરબી,તા.૧૮ ; હળવદના માસૂમ ધ્રુવને સાવકી માતાએ જ કેનાલમાં ધક્કો મારી નાખી દીધો નવ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો . હળવદ પંથકમાં હૃદય કંપાવી દે તેવી ઘટના એ ચકચાર મચાવી છે. જેમાં નવ દિવસ પૂર્વે ગુમ થયેલા બાળકને તેની જ સાવકી માતાએ કેનાલમાં નાખી દીધો હોવાની કબૂલાત સાવકી માતા ભાવિશાએ આપતા પોલીસ અને હળવદ વાસીઓ ચોકી ઉઠ્યા છે. હળવદના મોરબી ચોકડી નજીક આવેલા ક્રિષ્ના પેકેજીગની ઓરડીમાં જ રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરી સામાન્ય જીવન નિર્વાહ કરતા જયેશભાઈ જયંતિલાલ ખોડીયાના પુત્ર ધ્રુવ(કાનો) ગત તા.૦૬/૧૦/૨૦૨૦ નારોજ વિશાલ પેકેજીગમાં જ રહેલી ઓરડી નજીકથી ગુમ થયો હતો. જેમાં જયેશભાઈના બે પુત્રો ધ્રુવ અને શિવમ બન્ને રમી રહ્યા હતા એ દરમ્યાન પહેલી પત્નીનો પુત્ર ધ્રુવ ત્યાંથી અચાનક જ બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગુમ થયો હતો. જો કે બાદમાં પિતા જયેશભાઈ એ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

                 જેમાં સાવકી માતા હોવાની વાત ફરિયાદમાં પિતાએ જણાવ્યા મુજબ અને સાવકી માતા ભાવિશા જયેશભાઈ પ્રજાપતિ દ્વારા ઉપજાવેલી વાત પોલીસને શંકાના શમણાં તરફ લઈ જઈ રહી હતી ત્યારે પોલીસે માતાને રડારમાં રાખી તપાસ આરંભી હતી અને એસપી એસ આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈ,એલસીબી પીઆઈ વી.બી જાડેજા,હળવદ પીઆઈ સહિતની ટિમ છેલ્લા નવ દિવસથી તપાસ કરી રહી હતી. આ દરમ્યાન માતા ભાવિશા જયેશભાઈ પ્રજાપતિને પોલીસે પૂછતાં તે પોપટ બની ગઈ હતી અને સમગ્ર હકીકત જણાવી તેને જ પેકેજીગ કારખાના નજીક પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જેમાં પોલીસે તરવૈયા અને ફાયર ફાઈટર સહિતની ચુનંદા ટિમ સાથે બાળક ધ્રુવની તપાસ આદરી હતી. જેમાં બે દિવસથી નર્મદા કેનાલ બંધ કરતા ગઈકાલે ફક્ત બાળકના કપડાં મળી આવ્યા હતા ત્યારે આજે આ હળવદમા ગુમ થયેલા બાળકની ૯ દિવસો બાદ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખેસડી નિર્દય માતા ભાવિશા જયેશભાઈ પ્રજાપતિની અપહરણ અને કાવતરું ઘડી માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવા મામલે ધરપકડ કરવાની તજવીજ શરૂ કરાઇ છે જો કે આ માસૂમ બાળકને સાવકી માતાએ જ ધક્કો મારી મોત ના મોં માં ધકેલી દેતા માતૃત્વ પ્રેમ આ નાલાયક માતાએ માતૃત્વ પ્રેમ લજવ્યો છે.જો આ ઘટનાથી સમગ્ર હળવદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને માતાને કડક સજા આપવા માંગ કરી છે.

(7:31 pm IST)