ભાજપના બે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હેમંત બિસ્વા અને વજુભાઈ વાળા આજે કચ્છમાં
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮
કચ્છ જિલ્લામાં ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર અભિયાન સાથે માંડવી, અબડાસા, ગાંધીધામ તથા રાપર વિધાનસભા બેઠકો પ૨ પ્રાદેશિક અને રાષ્ટ્રીયસ્તરના નેતાઓ ચુનાવના યુદ્ધમાં ઝંપલાવશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે સવારે ૯ કલાકે માંડવી વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત મોટી મુજપુર ગામે બસ સ્ટેશન પાસે એક જાહેરસભા સંબોધશે. ત્યારબાદ તેઓ અબડાસા વિધાનસભા અંતર્ગત નખત્રાણા રૂડીસતીમા ગ્રાઉન્ડ ખાતે પણ સભાનું સંબોધન કરશે. એવી જ રીતે આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્મા અંજાર શહેરમાં અંજાર, ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે તથા ત્યારબાદ ગાંધીધામ શહેરમાં ગુરુકુળની પાસે આવેલા પં. દિનદયાલ હોલમાં સભાઓ સંબોધશે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા વજુભાઇ વાળા પણ રાપર વિધાનસભા ક્ષેત્રમાં આવતા ભીમાસર અને ગેડીમાં સાંજે ૫ અને ૮ ક્લાકે જાહે૨ સભાઓનું સંબોધન કરશે તેવું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગામે ગઢવીની યાદીમાં જણાવાયું છે.