ભાવનગર માર્કેટિંગ યાર્ડની તાકીદે ચૂંટણી યોજવા માંગણી ઉઠી : વર્ષ 2013થી ચૂંટણી યોજાઈ નથી
લાંબા સમયથી વહીવટદારનું શાસન હોવાથી વેપારી, ખેડૂતો અને દલાલોની સમસ્યાઓનું નિરાકરણ તાકીદે આવતુ નથી
ભાવનગર માર્કેટ યાર્ડમાં વર્ષ 2013થી ચૂંટણી યોજાઈ નથી. લાંબા સમયથી વહીવટદારનું શાસન હોવાથી વેપારી, ખેડૂતો અને દલાલોની સમસ્યાઓનું નિરાકરણ તાકીદે આવતુ નથી. ભાવનગરના રાજકીય આગેવાનોની નિષ્ક્રિયતા ગણો કે યાર્ડનું આંતરિક રાજકારણ પરંતુ લાંબા સમયથી ખેડૂતોનું અહિત થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લાના ખેડૂતો યાર્ડમાં પોતાની જણસી વેચવા આવે ત્યારે સીસીટીવી ન હોવાથી માલ ચોરાઈ જવાની શક્યતા રહે છે.જ્યારે સ્વચ્છતા અને પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. તો ખેડૂતોની ઉપજના યોગ્ય ભાવ ન મળ્યાં ફરિયાદ પણ લાંબા સમયથી રહે છે.તેવી લોકચર્ચા સાથે તાકીદે યાર્ડની ચૂંટણી યોજવા માંગણી ઉઠી છે
ભાવનગર માર્કેટ યાર્ડમાં ઘોઘાનું માર્કેટ યાર્ડ ભેળવવાના પગલે ચૂંટાયેલા બોર્ડને રદ્દ કરીને સરકારે હસ્તક્ષેપ કર્યો. જે બાદ રાજ્ય સરકારે પસંદ કરેલી બોડી સામે પૂર્વ ચેરમેને હાઈકોર્ટમાં અરજી કરી. જેથી તે બોડીને પણ વિખેરી દેવામાં આવી. ખેડૂતો માટે ઠંડીમાં રહેવાની કોઈ વ્યવસ્થા નથી.
માર્કેટયાર્ડમાં નવી સુવિધાઓ કે વિકાસના કાર્યો પણ લાંબા સમયથી અટવાઈ ગયા છે. જેથી સૌ પક્ષકારો તાકીદે ચૂંટણી યોજવાની માગ કરી રહ્યાં છે. જેના પગલે આગામી માર્ચ કે એપ્રિલમાં ચૂંટણી યોજાય તેવી હિલચાલ શરૂ થઈ છે.