સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં નોંધાયેલા શેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત હવે રૂ. ૨૦ હજારની લોન મળશે

ડિજિટલ ટ્રાન્ઝેકશન કરનારને પ્રોત્સાહન રૂપે રૂ.૧૨૦૦/ આપવામાં આવશે

વઢવાણ-સુરેન્દ્રનગર, તા.૧૯: ધ્રાંગધ્રા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી તથા પી.એમ.સ્વનિધિ યોજના અધ્યક્ષશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ધ્રાંગધ્રા નગરપાલિકા સ્થિત સરકારશ્રીના એન.યુ.એલ.એમ. વિભાગ મારફતે આ વર્ષે શહેરના શેરી ફેરિયાઓને પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત વ્યાજમાં ૭% ટકા સબસીડી સહાયથી રૂ.૨૦ હજારની લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વધુમાં જણાવ્યા પ્રમાણે ગત વર્ષે કોવિડ-૧૯ ની પ્રથમ લહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકારશ્રી દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને ધ્યાને લઇ લોકડાઉનને લંબાવવામાં પણ આવ્યું હતું. જેના કારણે રોજે રોજનું કમાઈને જીવન નિર્વાહ કરતા શેરી ફેરિયાઓની હાલત કફોડી બની હતી. આવા સમયે પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ શેરી ફેરીયાઓને શહેરની વિવિધ બેંકો મારફતે વ્યાજમાં ૭% સબસીડી સહાયથી રૂ. ૧૦ હજારની લોન આપવાનું શરૂ કરાયું હતુ. જેનો શેરી ફેરિયાઓને લાભ મળ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે જૂન મહિનાથી સરકારશ્રી દ્વારા રૂ.૧૦ હજારની જગ્યાએ રૂ.૨૦ હજારની લોન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ લોનના પ્રથમ રાઉન્ડમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલ છે, તેવા તમામ ફેરિયાઓને પણ બેંક દ્વારા રૂ.૧૦ હજારની લોન મળી શકશે. આ ઉપરાંત ડિજિટલ ટ્રાન્ઝેકશન કરનારને રૂ.૧૨૦૦/- પ્રોત્સાહનરૂપે આપવામાં આવશે.

ઉપરોકત યોજનાનો લાભ લેવા ઈચ્છતા ફેરિયાઓએ શેરી ફેરિયા કાર્ડની નકલ, શેરી ફેરિયા સર્ટીફીકેટની નકલ, આધાર કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જો અગાઉ રૂ.૧૦ હજારની લોન લીધી હોય તો તે લોન પુરેપુરી ભરાયેલ છે તેનું બેંક સર્ટિફિકેટ / બેંક નોડ્યુ સર્ટીફીકેટ અને અગાઉના LOR દાખલા જેવા જરૂરી આધારો સાથે ધ્રાંગધ્રા નગરપાલિકા કચેરીમાં બપોરે ૧૨ થી ૧:૩૦ સુધી તથા બપોરના ૩ થી ૫ વાગ્યા સુધીમાં યોજના શાખાનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

(10:35 am IST)