સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th January 2023

મોરબી : કેનાલોમાં લીફ્ટ ઈરીગેશન વાળા વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટેના વીજ કનેક્શન આપવાની માંગ.

સંસ્થા અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી :  સરકાર દ્વારા આપવામાં આવેલ કેનાલોમાં લીફ્ટ ઈરીગેશન વાળા વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટેના વીજ કનેક્શન આપવા સંસ્થા અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે સરકાર દ્વારા બનાવવામાં આવેલ ડેમોની કેનાલ દ્વારા જે પહેલા ગ્રેવિટીથી સિચાઈ માટે પાણી આપવામાં આવતું હતું. જેની જગ્યાએ હાલમાં ઘણી કેનાલોને લીફ્ટ સિંચાઈ માટે ફેરવવામાં આવેલ છે. જેના કારણે હાલમાં ખેડૂતોને મોંઘા ભાવનું ડીઝલ વાપરીને પોતાની ખેતી માટે લીફ્ટ ઈરીગેશન કરવું પડી રહ્યું છે.
પરંતુ જો કોઈ ખેડૂતો ખેતી માટેનું ઇલેક્ટ્રિક કનેકશન માંગે તો તેની પાસે કુવો અથવા  બોર કરાવવાની શરત મુકવામાં આવે છે. જયારે પાણી કેનાલ નું લેવાનું હોય તો કુવો કે બોર નો આગ્રહ શા માટે ? જેથી સંસ્થાએ ગુજરાત રાજ્ય માં જ્યાં પણ કેનાલ થી લીફ્ટ ઈરીગેશન થઇ રહ્યું છે ત્યાં દરેક ખેડૂતોને તાત્કાલિક સિંચાઈ માટેનું ઇલેક્ટ્રિક કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી છે અને ૨૪ કલાક પાવર મળે તેવી માંગ કરી છે

(1:02 am IST)