૩૧મી સુધી ખાવડાથી ધોળાવીરા સુધીનો રણ રસ્તો તમામ વાહન વ્યવહાર માટે બંધ
જી-૨૦ સમિટ પૂર્વે ડામર હાઈવે તૈયાર કરવાનું આયોજન, લાંબા સમયથી ચાલતું રસ્તાનું ધીમું કામ હવે વેગમાં
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦
કચ્છ જિલ્લાના લખપત-ખાવડા-ધોળાવીરાના રણમાંથી પસાર થઈને બનાસકાંઠાના સાંતલપુર સાથે જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.754 K નું બાંધકામ પુરજોશમાં ચાલી રહેલ છે અને કચ્છ જિલ્લામાં આગામી જી-૨૦ સમિટ ગ્રુપની બેઠકને લઇ પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાત દિવસ ચાલુ રાખવા માટે ટ્રાફિક નિયંત્રણ કરવો જરૂરી હોઇ કાઢવાંઢથી ધોળાવીરા સુધીનો ધોરી માર્ગ નં. 754 K બંધ રાખવા માટે કાર્યપાલક ઈજનેરશ્રી, નેશનલ હાઈવે ડીવીઝન, ગાંધીધામ દ્વારા આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રાખવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે દરખાસ્ત અન્વયે કાઢવાંઢ થી ધોળાવીરા સુધીનો 754 K રાષ્ટ્રીય ધોરી માર્ગ બંધ રાખવો જરૂરી જણાય છે.
જેથી કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના કાઢવાંઢથી ધોળાવીરા સુધીનો 754 K રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જતાં તમામ વાહન વ્યવહાર માટે આગામી ૩૧મી જાન્યુઆરી-૨૦૨૩ સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.
આ જાહેરનામા અન્વયે સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો. પોલીસ અધિક્ષકશ્રી કે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનો. કાર્યપાલક ઈજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગ, ગાંધીધામ દ્વારા અધિકૃત કરેલ વાહનો તેમજ આ માર્ગની આજુબાજુના ગામોનો સામાન્ય વાહન વ્યવહાર આવન જાવન કરી શકશે. તેવા વાહનોને મુકિત આપવામાં આવે છે.