મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ઝડપાયેલ પૂર્વ સરપંચ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: મુન્દ્રા પોલીસની કસ્ટડીમાં બે ગઢવી યુવાનોના નીપજેલ મોત પ્રકરણમાં સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાની લોનાવલાથી ધરપકડ કરાયા બાદ આજે ૧૯/૨ના તેને પોલીસ દ્વારા મુન્દ્રા કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી.
જે અનુસંધાને કોર્ટમાં તા/૨૨/૨ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસ દ્વારા મૃતક બન્ને ગઢવી યુવાનોને ચોરીના કેસમાં ઝડપાયા હોવાનું કહી કોઈ પણ જાતની કાયદેસર કાર્યવાહી કર્યા વિના મુન્દ્રા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયા હતા. જયાં પોલીસની મારને કારણે બન્ને યુવાનોના મોત નીપજયા હતા.
બબ્બે યુવાનોના પોલીસ કસ્ટડીમાં મોત સંદર્ભે ગઢવી સમાજ દ્વારા સતત ઉગ્ર આક્રોશ વ્યકત કરાઇ રહ્યો છે. આ બનાવ જમીન સંદર્ભે બન્યો હોવાના આક્ષેપોએ પોલીસની ભૂમિકા સામે સવાલ ખડો કર્યો છે. જોકે, હજીયે આ પ્રકરણમાં જવાબદાર એવા પોલીસ કર્મીઓ હજીયે ફરાર છે.