ગીર-સોમનાથ જિલ્લામાં ખાનગી ૮ હોસ્પિટલને કોવીડ-૧૯ હોસ્પિટલ તરીકે માન્યતા
દરરોજ ૨૨૦૦ જેટલા લોકોનો કોવીડ ટેસ્ટઃ કલેકટર અજય પ્રકાશ
પ્રભાસ પાટણ, તા.૧૯: ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશે ખાનગી ૮ હોસ્પિટલને કોવીડ-૧૯ હોસ્પિટલ તરીકે માન્યતા આપી છે. જિલ્લામાં ૨૦૯ પોઝીટીવ કેસ એકટીવ છે. જેમાંથી ૧૭૦ દર્દી હોસ્પિટલમાં દાખલ થયેલ છે. ૩૯ દર્દીઓ હોમ આઇસોલેશન થયેલ છે. ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે આદિત્ય બિરલા હોસ્પિટલ-૨૫ બેડ, શ્રીજી હોસ્પિટલ-૧૫ બેડ, લાઇફલાઇન હોસ્પિટલ-૨૨ બેડ, નવજીવન હોસ્પિટલ-૨૩ બેડ, આઇ.જી.મેમોરીયલ હોસ્પિટલ-૨૮ બેડ, નટરાજ હોસ્પિલલ-૧૫ બેડ અને કોડીનાર અંબુજા હોસ્પિટલ ખાતે ૨૫ બેડ તેમજ ઉના શ્રી મહેતા હોસ્પિટલ ખાતે ૨૨ બેડ તેમજ સોમનાથ, ગીરગઢડા, ડોળાસા, સુત્રાપાડા ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
આગામી દીવસોમાં તાલાળા ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. હોસ્પિટલમાં ઓકસીજનનો જથ્થો બહારના જિલ્લામાંથી મેળવી જરૂરીયાત મુજબ પુરો પાડવામા આવે છે. જિલ્લામાં દરરોજ બે હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જિલ્લામાં ૧.૧૪ લાખથી વધુ લોકોને રસીકરણ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ લોકો રસીકરણમાં જોડાય તેવી કલેકટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.