સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th July 2021

ચોટીલાના પિયાવદરમાં જુના મનદુઃખમાં ટપુભાઇ પર ત્રણ શખ્સોનો પાઇપથી હુમલો

વર્ષો પહેલા જેની સાથે માથાકુટ થઇ હતી તેના પુત્ર સહિતનાએ અચાનક આવી ઘા કર્યાનો આક્ષેપઃ હુમલામાં ઘાયલ થયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૦: ચોટીલાના પિયાવદરમાં રહેતાં ટપુભાઇ ભીખાભાઇ જમોડ (ઉ.વ.૭૦) નામના કોળી વૃધ્ધને સાંજે ઘર પાસે હતાં ત્યારે ગામના જ અનિરૂધ્ધસિંહ, તેના કાકા જોરૂભાઇ, જોરૂભાઇ તથા અલકુભાઇએ આવી પાઇપથી હુમલો કરી માર મારી તેમજ ઢીકાપાટુનો માર મારતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. ટપુભાઇના કહેવા મુજબ પોતે ખેતી કરી ગુજરાન ચલાવે છે. વર્ષો પહેલા અનિરૂધ્ધસિંહના પિતા સાથે મનદુઃખ થયું હોઇ તે વખતે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારથી તેમના  પરિવાર સાથે મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી ઓચિંતા જ આવીને હુમલો કરાયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)