કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરી
સમય મર્યાદામાં જિલ્લાના વિકાસ કામો પુર્ણ થાય અને રસ્તા, સિંચાઈ, પાણી વગેરેને લગતા પડતર કામો પૂર્ણ કરવા મંત્રીએ સૂચનો કર્યા
જામનગર:રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા અર્થે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં મંત્રીએ બેઠકમાં જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી, વીજળી, માર્ગ, આરોગ્ય સહિતની બાબતોમાં હકારાત્મક વલણ કેળવી આ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્વરે કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું અને મુશ્કેલ જણાતા પ્રશ્નો પરત્વે મંત્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉમેર્યું હતું. આ બેઠકમાં મંત્રીએ માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, બાંધકામ વિભાગ, પીજીવીસીએલ, જેટકો, પાણી પુરવઠા વિભાગ, મહાનગર પાલિકા સહિતના વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ કામો અંગેની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર , પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લા સંકલન સમિતીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.