જામનગરના સાતમ આઠમના મેળા દરમિયાન ૧૯ બાળકો વાલીઓથી વિખુટા પડ્યા: તમામનું પરિવાર સાથે મિલન થયું
જામનગર :જામનગરના પ્રદર્શન મેદાનમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાતમ આઠમના મેળા દરમિયાન કુલ ૧૯ બાળકો તેના માતા-પિતા અથવા પરિવારજનોથી વિખુટા પડી ગયા હતા, અને મહાનગરપાલિકાની હંગામી ઓફિસ તેમજ હંગામી પોલીસ ચોકીમાં પહોંચાડવામાં આવ્યા હતા, જોકે તમામ બાળકોના વાલીઓનું પુનઃમીલન થઈ ગયું હતું, અને બાળકોનો કબજો તેમના માતા-પિતા સહિતના પરિવારજનોને સોંપી દેવાયો હતો.
મોટા ભાગે ગીરદીના કારણે બાળકો તેના માતા પિતા વગેરીથી વિખુટા પડ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ૧૯ પૈકીના ૬ બાળકો સાત રસ્તાથી જિલ્લા પંચાયત સુધીના માર્ગ પર તેમના પરિવારજનોથી હાથ છુટો થઈ જતાં અથવા બાળક રમકડાં જોવા ઉભા રહી જતાં વિખુટા પડી ગયા હતા. તેઓને ટ્રાફિક શાખા, હોમગાર્ડના જવાનો વગેરે તેમજ મહાનગરપાલિકાના સિક્યુરિટી ના જવાનોએ મેળા મથક ની અંદર જે.એમ.સી. તેમજ મેળા ના પોલીસ મથકમાં પહોંચાડ્યા પછી તે તમામનું પણ વાલીઓ સાથે મિલન કરી દેવાયું હતું. મહાનગરપાલિકાની ટીમ દ્વારા તુર્ત જ માઇક મારફતે જાહેરાત કરીને બાળકોના વાલીઓને સૂચિત કરવામાં આવ્યા હતા જ્યારે મહાનગરપાલિકા ની ટીમ તેમજ પોલીસ તંત્રએ વિખુટા પડેલા બાળકોને રમકડા, આઈસ્ક્રીમ, પોપકોર્ન વગેરે આપીને શાંત પાડી સાંત્વના પણ આપી હતી.