ગોંડલના શિવરાજગઢમાં એમપીના કાલીસિંગની હત્યા
રાતે બાજુની વાડીએ સગાને મળીને પરત આવતી વખતે ડેમ પાસે અજાણ્યાએ હુમલો કર્યોઃ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયોઃ પણ દમ તોડી દીધોઃ હત્યાનો ભેદ ઉકેલવા ગોંડલ તાલુકા પોલીસની તપાસઃ મજૂર પરિવારમાં કલ્પાંત
હત્યાનો ભોગ બનનાર કાલીસિંગનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, તેના શોકમય પત્નિ રેખાબેન અને પુત્ર નિલેષ જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૦: ગોંડલના શિવરાજગઢમાં રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના આધેડ પર રાત્રીના ડેમ પાસે અજાણ્યા શખ્સોએ હુમલો કરી માથામાં ઘા ફટકારતાં ગંભીર ઇજા થતાં રાજકોટમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.
જાણવા મળ્યા મુજબ શિવરાજગઢમાં કેશુભાઇની વાડીમાં રહેતાં મુળ એમપીના બડવાણના ચારોલી ગામના કાલીસિંગ ખુમાનસિંગ બારેલા (ઉ.વ.૪૭)ને રાતે માથામાં ઇજાઓ થયેલી હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પ્રાથમિક પુછતાછમાં તેના સગાએ કહ્યું હતું કે રાતે સાડા નવેક વાગ્યે શિવરાજગઢ ગામના ડેમ પાસે તેના પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ મુજબની નોંધ હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહ ઝાલાએ કરતાં ગોંડલ તાલુકા પોલીસે રાજકોટ આવી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સવારે કાલીસિંગે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
હત્યાનો ભોગ બનનાર કાલીસિંગ બે ભાઇમાં નાનો હતો. તેના મોટા ભાઇ એમપી રહે છે. પોતે શિવરાજગઢમાં ચારેક વર્ષથી પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતો હતો. તેને સંતાનમાં ચાર પુત્ર છે. બનાવ અંગે પુત્ર નિલેષે જણાવ્યું હતું કે રાતે પિતા બાજુની વાડીએ ઓળખીતાને મળવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે રસ્તામાં ડેમ પાસે કોઇએ હુમલો કર્યો હતો. પોતે એ વખતે ગણપતિના કાર્યક્રમમાં હતો. ફોન આવતાં પોતે ત્યાં ગયો હતો. ત્યાં જઇ જોતાં પિતા માથાઓમાં ઇજા સાથે બેભાન મળતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડયા હતાં. કોણે અને શા માટે હુમલો કર્યો તેની અમને ખબર નથી. અમારે કોઇ સાથે દુશ્મની પણ નથી.
પત્નિ રેખાબેને પણ હત્યા બાબતે પોતાને કંઇ જાણ ન હોવાનું અને પતિને કોઇ સાથે માથાકુટ નહિ હોવાનું કહ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ ગોંડલ તાલુકા પોલીસ આગળ કાર્યવાહી કરશે. આ બનાવથી મજૂર પરિવારના સભ્યોમાં કલ્પાંત સર્જાયો હતો.
પુત્ર નિલેષે આક્રોશ સાથે કહ્યું-હું બદલો લઇશ
ઞ્જપિતાની હત્યા થઇ જતાં પુત્ર નિલેષ રોષે ભરાઇ ગયો હતો. તેણે રડતાં રડતાં કહ્યું હતું કે જેણે પણ મારા પિતાને માર્યા છે એ મળશે એટલે હું હત્યાનો બદલો લઇશ.