બામણબોર પાસે કારે ઠોકર મારતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇઃ પાંચ ઘવાયા
થાનના ભુપતભાઇ રંગપરા પરિવાર સાથે રીક્ષામાં વાંકવડ જતા'તા
રાજકોટ તા.ર૦ : કુવાડવા નજીક બામણબોર પાસે કારના ચાલકે રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પલટી ખાઇ જતા થાનના કોળી પરિવારના પાંચ સભ્યોને ઇજા થતા તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ થાનમાં નવાગામ ચોકડીપાસે રહેતા ભુપતભાઇ છગનભાઇ રંગપરા (ઉ.વ.૩૦) તથા કૌટુબીંક ફુવા ધીરૂભાઇ કેસાભાઇ ભુસડીયા (ઉ.વ.૬૦) પત્ની હેમીબેન ધીરૂભાઇ ભુસડીયા (ઉ.વ.પપ) તથા તેનો અઢી વર્ષનો પૌત્ર મોહિત તથા વાંકાનેરના જાલી ગામમાં રહેતા કૌટુબીકભાઇ રમેશભાઇ મેઘજીભાઇ રંગપરા (ઉ.વ.૪૦) પત્ની વસંતબેન રમેશભાઇ રંગપરા (ઉ.વ.૩પ) તેના બે બાળકો રણછોડ (ઉ.વ.પ) અને છ માસની પુત્રી ક્રિષ્ના તમામ જીજે૧૩ એવી ૪૩૯પ નંબરની રીક્ષામાં બેસીને વાંકવડ ગામે ફુવાની દીકરીની ખબર કાઢવા માટે જતા હતા. ત્યારે બામણબોર ગામ પાસે જીજે૩૮બી - ૪૩૭૪ નંબરની કારના ચાલકે પુરઝડપે આવી પાછળથી ઠોકર મારતા રીક્ષા પલટી ખાઇ ગઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને રિક્ષા ચાલક ભુપતભાઇ તથા ધીરૂભાઇ, હેમીબેન, રમેશભાઇ તથા વસંતબેનને હાથેપગે તથા માથામાં ઇજા થતા તમામને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્સ. એચ.એસ. તળાવીયાએ કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.