રાષ્ટ્રીય ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ : દીનદયાળ પોર્ટ કંડલા મધ્યે ૨૭૭ કરોડના ખર્ચે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાનું ખાતમુર્હુત
દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના ૧૨ મહાબંદરો સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા સરકાર મક્કમ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ ૧૦૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું મહા અભિયાન
(વિનોદ ગાલા દ્વારા )ભુજ::: દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. એવું કહેતાં કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોરોવાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના ૧૨ મહાબંદરો સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા સરકાર મક્કમ છે. તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૦૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું મહા અભિયાન હાથ ધર્યું છે.
દીનદયાળ પોર્ટ કંડલા મધ્યે ૨૭૭ કરોડના ખર્ચે ચાર જેટલી વિવિધ માળખાકીય સુવિધાઓનું ખાતમુહુર્ત કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોરોવાલે કર્યું હતું. તેમણે દીનદયાળ પોર્ટ કંડલાને દેશનું નંબર વન મહાબંદર ગણાવ્યું હતું. આ સંદર્ભે વધુ માહિતી આપતાં દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાએ જણાવ્યું હતું કે, ઓઇલ પાઈપ લાઈનની પરિવહન ક્ષમતા વધારવા માટે ૧૨૬.૫૦ કરોડ, નવી ૮ મી ઓઇલ જેટી બનાવવા માટે ૯૯.૦૯ કરોડ, માલ સંગ્રહ ગોડાઉન માટે ૩૬ કરોડ અને વાહનોની અવરજવર તેમ જ પાર્કિંગ પ્લાઝાના ડીજીટીલાઈઝેશન માટે ૧૫ કરોડ રૂપિયા ખર્ચ કરાશે. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, દીનદયાળ પોર્ટના વાઈસ ચેરમેન નંદિશ શુક્લા, બિઝનેસ ડેવલોપમેન્ટ સેલના ઓમપ્રકાશ દાદલાણી, પોર્ટના અધિકારીઓ, બંદરીય વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા.