સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

જાયે તો જાયે કહાં !!? નેચરલ ગેસમાં ભાવ વધારાની હેટ્રિકની દહેશતથી મોરબીના સિરામીક ઉદ્યોગકારોની ઉંઘ હરામ.

આગોતરી જાણ કર્યા વગર જ ગુજરાત ગેસ કંપની દ્વારા મન પડે ત્યારે ભાવ વધારો ઝીકાતો હોવાથી એક્સપોર્ટ ઓર્ડરમાં ભારે નુકશાન

મોરબી ચોતરફથી મુશ્કેલીમાં ઘેરાયેલા મોરબીના સીરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની વધુ એક ડામ આપવાની તૈયારીમા છે. હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં અસહ્ય ભાવવધારો ઝીકી દીધો હતો.જેને કારણે સીરામીક ઉદ્યોગ હજુ પણ બેહાલ છે અને સીરામીક ઉદ્યોગને હજુ કળ પણ વળી નથી. ત્યાંજ ફરી આગામી નવેમ્બરમાં ગેસમાં ફરી ભાવવધારો કરવા તૈયારી કરતા સીરામીક ઉદ્યોગ ઘેર સંકટમાં મુકાઈ ગયો છે. આવીને આવી પરિસ્થિતિ રહી તો સીરામીક ઉદ્યોગને મરણપથારીએ પહોંચતા વાર નહિ લાગે.

મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા વપરાતા PNG ગેસનો વપરાશ આશરે દૈનિક ૭૦ લાખ ક્યુબીક મીટરનો છે. જે ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય કરવામા આવે છે. તેમા ગેસ કંપની દ્વારા ૨૪ ઓગસ્ટે ૪.૫૦ રૂપીયાનો ભાવ વઘારો કરતા સીરામીક ઉદ્યોગકારો ટાઈલ્સના ભાવ વઘારેલ હતા ત્યારબાદ ગેસના આંતરરાષ્ટ્રીય ભાવો વઘતા ફરીથી ગેસ કંપની દ્વારા ૧-૧૦-૨૧એ અચાનક જ અગાઉથી જાણ કર્યા વગર જ ૧૦.૧૫ રૂપીયાનો તોતીંગ ભાવ વઘારો કરતા સીરામીક ઉદ્યોગકારોને એક્સપોર્ટના પેન્ડીંગ ઓર્ડરોમા કરોડોની મોટી નુકસાની આવી હતી અને ડોમેસ્ટીકના પેન્ડીંગ ઓર્ડરોમા પણ મોટી નુક્સાની ભોગવવી પડી હતી. તદઉપરાંત સીરામીક ઉદ્યોગકારોને ટાઈલ્સમા ૨૦% જેટલો ભાવ વઘારો કર્યો હતો. જે હજુ માકેઁટ ઠંડુ હોવાથી સ્ટેબલ કરવો ખૂબ જ કઠીન છે.

કારણ કે, ૩૬ દિવસના ગાળામા બે વખત ગેસના ભાવ વઘતા ટાઈલ્સ માકેઁટને ભાવ વઘારનો મોટો ઝટકો વાગ્યો છે. આવી વિકટ પરિસ્થતીમાથી સીરામીક ઉદ્યોગ બહાર આવ્યો નથી ને ફરીથી ઈન્ટરનેશનલ માકેઁટના આઘારે ગેસ કંપની દ્વારા ૧-૧૧-૨૧ થી તોતીંગ ભાવ વઘારો કરવા તૌયારી શરૂ કરી છે. એવા સમાચાર આવતા સીરામીક ઉદ્યોગકારો ભારે મુંજવણમા મુકાયા છે. કારણ કે, ડોમેસ્ટીક માકેઁટમા ટાઈલ્સનો ભાવ વઘારો કરવો ખૂબ જ મુશ્કેલ થશે. તેમજ વૈશ્વિક બજારોની હરિફાઈમા ૧૬૦ દેશોમા નિકાસ કરવી એ કોઈ સામાન્ય બાબત નથી.
આંતરરાષ્ટ્રીય માકેઁટમા પણ બીજી ઘણી બઘી મુશ્કેલીઓ છે જ જેમકે કંન્ટેનરના ઉંચા ભાડા જીસીસીના દેશોમા એન્ટી ડંપીંગ ડ્યુટી હોવાથી ૩૦% નિકાસમા ઘટાડો આવેલ છે તેમજ ગેસના ભાવો વઘતા પ્રોડક્શન કોસ્ટમા વઘારો થતા હજુ નિકાસમા ઘટાડો થવાની પુરે પુરી શક્યતાઓ છે.
વધુમાં ચાઈના સામે વૈશ્વિક બજારમા મોરબીનો સીરામીક ઉદ્યોગ ટકી શકશે નહી અને ઓર્ડરો કેન્સલ થશે એની અસરથી ઈન્ડસ્ટ્રીઝમા સ્ટોક વઘશે અને સીરામીક પ્લાન્ટો બંઘ કરવાની નોબત આવશે એમા કોઈ શંકાને સ્થાન નથી સાથે સાથે આ ઈન્ડસ્ટ્રીઝમા કામ કરતા લાખો લોકોની રોજીરોટીનો પણ મોટો સવાલ ઉભો થશે ત્યારે ગુજરાત સરકારે આ ઉદ્યોગને બચાવવા અને લાખો લોકોની રોજગારીનુ વિચારી અસરકારક પગલા લેવા જોઈએ તેવી સીરામીક એસોસિએશને માંગ કરી છે.

(11:09 am IST)