સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

અમરેલીમાં ધન્વંતરી રથ દ્વારા લોકોના ઘરે ઘરે જઇ વધુ ટેસ્ટ કરવા ઝૂંબેશ

જિલ્લા કલેકટરે વિડીયો કોન્ફરન્સથી કોવિડની પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી : ભીડવાળી દુકાનો, લારી, પાન-ગલ્લાવાળા, ધાર્મિક સ્થળો ઉપર લોકોના સેમ્પલ લેવાશે

અમરેલી તા. ૨૦ : જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તથા તાલુકાઓની તમામ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટશ્રીઓ તેમજ તમામ તબીબી અધિકારીઓ સાથે કોવિડની પરિસ્થિતિ, સારવાર સુવિધાઓ, ધન્વંતરિ રથો દ્વારા થઈ રહેલી કામગીરી, રેપિડ સર્વે હેઠળ આરોગ્ય કામગીરીની વિગતવાર સમીક્ષા કરીને કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે હાલ દિવાળીના તહેવારો અને આવનાર લગ્નના મુહૂર્તને ધ્યાને લઇ તમામ મિઠાઇની દુકાનો, ફાસ્ટફુડ દુકાનો, કેટરીંગ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, વાડીના કર્મચારીઓના તેમજ ભીડભાડ વાળી દુકાનો, લારી, પાનના ગલ્લા વાળા, ધાર્મિક સ્થળોની નજીકમાં લોકોના વધુમાં વધુ સેમ્પલ લેવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા જુદા જુદા જાહેરનામા સબબ ચેક લીસ્ટ તૈયાર કરી તે પ્રમાણે તમામ દુકાનોની ચકાસણી કરવા તેમજ માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, હેન્ડ ગ્લવ્ઝ, હેન્ડ સેનીટાઇઝર વગેરેની ચકાસણી માટે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ બસ સ્ટેન્ડ પર સોશ્યલ ડીસ્ટન્સ જળવાય, લોકો માસ્ક પહેરે તેની તકેદારી રાખવા સુચના આપવામાં આવી હતી. ખાનગી તબીબો ફલુના દર્દીનું નિયમિત રીપોર્ટીંગ કરે, મેડીકલ સ્ટોરના માલિક ફલુ પેરાસીટામોલ, એજીથ્રોમાઇસીન જેવી દવા લેનાર ગ્રાહકની વિગતો આરોગ્ય વિભાગને મોકલે છે કે કેમ તેની કાળજી લેવા જણાવ્યું હતું.

આરોગ્ય અધિકારીઓને કલેકટર શ્રીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ફલુના લક્ષણ વાળા લોકો એન્ટીજન ટેસ્ટ કરાવે અથવા ૧૪ દિવસ માટે હોમ કવોરેન્ટાઇન થાય તે અત્યંત જરૂરી છે તેમજ આરોગ્ય વિભાગ તરફથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ સઘન કરવાનું રહેશે. આ ઉપરાંત મેડીકલ સ્ટોર કે ખાનગી હોસ્પીટલમાં ફલુ સારવારના દર્દીની ત્વરીત હોમ મુલાકાત કરી તેનું તાપમાન, SpO2 માપી સારવાર આપવી તથા જરૂર જણાયે હોસ્પીટલમાં રીફર કરવાના રહેશે.

કલેકટરશ્રીએ ધન્વંતરી રથને વેગવાન કરવા અને લોકોના ઘરે જઇ વધુમાં વધુ ટેસ્ટીગ કરવા અને સારવાર આપવા જણાવ્યું હતું. તેમજ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી જેવી કે, નિયત દંડ વસુલવો, એપેડેમીક એકટ અંતર્ગત એફ.આઇ.આર. કરવા સબંધિત વિભાગને તાકીદ કરી હતી.

આ વીડિયો કોન્ફરન્સમાં અધિક જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા સર્વેલન્સ અધિકારીશ્રી,  તમામ પ્રાંત અધિકારીશ્રી, તમામ તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફીસરશ્રી અને મેડીકલ ઓફીસરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:35 am IST)