કેશોદમાં કુરીયરના ડીલેવરી બોય સામે રૂ. ર.૩૭ લાખના વિશ્વાસઘાતની ફરીયાદ
પાર્સલમાંથી કિંમતી વસ્તુ કાઢી લઇ અન્ય વસ્તુ ધાબડી દીધી
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ : કેશોદ ખાતેની એક કુરીયર સર્વિસના ડીલેવરીબોયે તેમને આપવામાં આવેલ જુદા-જુદા પાર્સલમાંથી કિંમતી વસ્તુ કાઢી લઇ અને અન્ય વસ્તુ ધાબડી દઇ રૂ. ર.૩૭ લાખની છેતરપીંડી આચર્યાની વિશ્વાસઘાત કર્યો હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની વિગતો એવી છે કે વેરાવળ ખાતે રહેતા મુસ્તફા તૈયબઅલી ઝરીવાલા (ઉ.૬૦) કેશોદ ખાતે કુરીયર સર્વિસ પેઢી ધરાવે છે.
તેમણે કેશોદનો ઘનશ્યામ હર્ષદભાઇ પીઠીયા નામના શખ્સને ડીલેવરીબોય તરીકે નોકરીએ રાખેલ.
આ શખ્સે ગત તા.૧૧/૧૧ થી ૧૭/૧૧ દરમ્યાન તેને ડીલેવરી કરવા માટે સાત પાર્સલ આપવામાં આવેલ.
પરંતુ ડીલેવરીબોય ઘનશ્યામ પીઠીયાએ પાર્સલની અંદર રહેલ આઇફોન કંપનીની રૂ. ૯૯૮૦૦ ની બે ઘડીયાળ, તેમજ સેમસંગ કંપનીની રૂ. ર૪૪૯૦ ની કિંમતની ઘડીયાળ ઉપરાંત એપલ કંપનીનું રૂ.૧૮ હજારનું એરફોન તેમજ રેબન કંપનીના ગોગલ્સ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ર,૩૭,પ૭૧ ની કિંમતની વસ્તુઓ કાઢી લીધી હતી.
તેમજ પાર્સલમાં બીજી વસ્તુ નાખી કુરીયર કંપની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ મુસ્તફા ઝરીવાલાએ નોંધાવતા કેશોદના પોલીસ જામદાર પી. એમ.બાબરીયાએ તપાસ હાથ ધરી છે.