વાંકાનેર એસ.ટી. ડેપોમાં કોરોના બોમ્બ ફુટયો ૩પ ડ્રાઇવર-કંડકટર કોરોના પોઝીટીવ
અનેક એસ. ટી. રૂટ બંધ કરવા પડયા
(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૧ :.. વાંકાનેર પંથકમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે સરકારી કોવીંડ હોસ્પીટલ હાઉસ ફુલ છે લોકોને સારવાર માટે રાજકોટ - મોરબી - જામનગર વિગેરે શહેરોમાં દર્દીઓ જગ્યા શોધી રહ્યા છે. સામાજીક, ધાર્મિક અને શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા કોવીંડ સેન્ટરો શરૂ કરાયા છે. કોરોનાની બીજી લહેર ઘાતકી પણ સાબીત થઇ છે. ઘણા લોકો કોરોના અને અન્ય બીમારીમાં સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાય રહ્યા છે. વાંકાનેર એસ. ટી. બસના લાંબા અંતર અને રાજકોટ-મોરબીના ઘણા રૂટ બંધ કરાતા આ બાબતની જાણકારી માટે વાંકાનેર એસ. ટી. ડેપો અગ્રણી કર્મચારી અને ક્રેડીટ સોસાયટીના પ્રમુખ જયુભા જાડેજાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે કોરોના મહામારીમાં વાંકાનેર એસ. ટી. ડેપોના ૩પ જેટલા ડ્રાઇવર - કંડકટરના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ રજા ઉપર હોય આ ઉપરાંત અનેક દર્દ માટે પણ કર્મચારીઓ રજા ઉપર હોય સ્ટાફ સંક્રમીત થતા વાંકાનેર - અમદાવાદ, વાંકાનેર-જામનગર, વાંકાનેર-રાજકોટ-મોરબીના ઘણા રૂટ બંધ કરવાની ફરજ પડી છે દરરોજ એક-બે કર્મચારી કોરોનાની ઝપટમાં આવી જાય છે અને દિનપ્રતિદીન વધતા કેઇસથી એસ. ટી. ડેપોના કર્મચારીમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.