કેશોદ નગરપાલિકા સંચાલિત જર્જરિત બિલ્ડીગોનુ ચોમાસા પહેલાં કામગીરી શરૂ કરવા વેપારીઓની ચીફ ઓફિસરને રજુઆત
(કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદ: કેશોદ નગરપાલિકા ચારેક વિસ્તારમાં ચાલીસ વર્ષથી વધારે જુની જર્જરિત બિલ્ડીગો આવેલ છે ત્યારે ચોમાસું દસ્તક આપી રહ્યું છે ત્યારે વેપારીઓ રજુઆત કરવા નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસર સમક્ષ દોડીજઈ રજુઆત કરી હતી.
કેશોદ નગરપાલિકા નાં સતાધીશો દ્વારા જર્જરિત બિલ્ડીંગનો ત્રીજો માળ તોડી પાડવામાં આવેલ આ કામગીરીમાં ફેંકાફેંકી કરવામાં આવતાં બિલ્ડીંગનો જર્જરિત હિસ્સો પડવાની સંભાવના સાથે લટકી રહ્યો છે અને સ્લેબ નબળો પડી જતાં ચોમાસામાં પાણી પડવાની શક્યતા હોય વેપારીઓ દ્વારા ચીફ ઓફિસર ને રજુઆત કરી હતી ત્યારે કેશોદ નગરપાલિકા પાસે કોઈ સરકારી યોજનાઓ હેઠળ રકમ ન હોય કાંઈક વિચારીશું એવું કહી ગલ્લાં તલ્લાં કર્યા હતા.
કેશોદ નગરપાલિકા કચેરી પણ જર્જરિત હાલતમાં છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્બરો આધુનિક બનાવવા લાખો રૂપિયાનાં ખર્ચાઓ કરતું જવાબદાર તંત્ર અને સત્તાધિશો ઠાલાં વચનો આપતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતુ. પ્રિ મોન્સુન કામગીરી માટે પ્રાંત અધિકારી ની કચેરીએ બેઠક બોલાવવામાં આવે છે ત્યારે જવાબદાર તંત્ર ની જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડીગો અંગે ચોમાસાં પહેલાં સાવચેતી રાખવાની કોઈ પ્રકારની ચર્ચા કે સુચના આપવામાં આવી હશે કે કેમ એ તો હાજર રહેનારાં જાણતાં હશે. કેશોદ નગરપાલિકા હસ્તકની આવેલી જર્જરિત બિલ્ડીંગો માં ચારચોક, શરદચોક અને સ્ટેશન રોડ પર ની બિલ્ડીંગનો સમાવેશ થાય છે અને દરેક જર્જરિત બિલ્ડીગો ભરચક્ક વિસ્તારમાં આવેલી છે ત્યારે ચોમાસામાં ગંભીર ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે?