કાલે જામનગર જિલ્લાના દરેક પી.એચ.સી. ખાતે મેગા કોવિડ વેક્સીન કેમ્પ યોજાશે
લાગુ પડતા દરેક લાભાર્થીઓએ અચૂક કોવિડ વેક્સીન લેવા તંત્ર દ્વારા કરાઇ અપીલ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૧ : રાજ્ય સરકારની સુચના મુજબ જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફન્ટ લાઈન વર્કર અને ૬૦ વર્ષથી વધુ વય જુથના કોવીડ વેકસીનના પ્રિકોશન ડોઝ માટે લાયક હોય તેવા લાભાર્થીઓ અને ૧૨ થી ૧૭ વર્ષના બાકી રહેતા તમામ લાયક લાભાર્થીને બીજા ડોઝ માટે કોવીડ રસીકરણ હેઠળ આવરી લેવાના ઉદેશથી આગામી તા.૨૨ મે, રવિવારના રોજ જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/પેટા આરોગ્ય કેન્દ્ર પર મેગા કોવિડ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાગુ પડતા દરેક લાભાર્થીઓનો ટેલીફોનીક સંપર્ક કરી વેક્સીનેશન કેમ્પમાં આવરી લેવામા આવશે. તથા જરૂરીયાત મુજબ ‘‘હર ઘર દસ્તક'' મુજબ ઘરે ઘરે જઈને કોવિડ વેક્સીનેશન મળી રહે તે માટેનું આયોજન જામનગર જિલ્લામાં કરવામાં આવેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં વેક્સીનેશન (રસીકરણ) કામગીરી કોરોના નિયંત્રણમાં ખુબ જ અસરકારક હથિયાર સાબિત થયેલ છે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ લાયક તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ તથા બીજો ડોઝ લેવો ખુબ જ જરૂરી હોય બાકી રહેતા તમામ લાયક લાભાર્થીઓને આ મેગા કેમ્પનો લાભ લેવા તથા રાજકીય/સામાજિક/ધાર્મિક અગ્રણીઓને કોવિડ વેક્સીનેશન મેગા કેમ્પ સહયોગ આપવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે.