જેતપુરમાં આજે રાતથી પોલીસની ઈનીંગ શરૂઃ ૧૦થી સવારે ૬ કર્ફયુઃ શહેરમાં પુરતો બંદોબસ્ત ગોઠવાશે
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૨૨ :. કોરોનાના પોઝીટીવ કેસો વધતા મહાનગરો બાદ નગરોમાં પણ કર્ફયુ લાદવામાં આવતા શહેરમાં પણ આજથી કર્ફયુ લાગુ પડશે. શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતુ જતુ હોય કર્ફયુ લાદવો જરૂરી બન્યો હતો. મહામારીને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા લોકોની ભીડ જામે છે.
આજે રાત ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ જાહેર કરવામાં આવેલ હોય પોલીસ દ્વારા શહેરના દરેક પોઈન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે અને રાત્રે ૧૦ વાગ્યા બાદ જો કોઈ દુકાન કે બીનજરૂરી નીકળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તંત્રની મહામહેનત બાદ પણ લોકો બેજવાબદાર રહે છે. સરકાર દ્વારા ધોરણ ૧ થી ૯ની સ્કૂલો ઓનલાઈન કરવામાં આવેલ હોય પરંતુ વાલીઓ બેદરકાર બની ટયુશનમાં પોતાના બાળકોને મોકલે છે. ઉપરાંત પોતાના નાના ભૂલકાને પ્લે હાઉસ કે નર્સરીમાં પણ મોકલી દે છે. સ્કૂલો બંધ છે પરંતુ નર્સરીઓ પ્લે હાઉસો ચાલુ રાખવામાં આવ્યા છે. તો શું ત્યાં કોરોનાનું સંક્રમણ નહિ ફેલાય કે વાલીએ પોતાના બાળકોનું સ્વાસ્થ્ય સારૂ જળવાય તેવુ નથી ઈચ્છતા તેવુ લોકો ચર્ચી રહ્યા છે.