૭ મોત, નવા ૨૦૦ કેસ, ૧૧૦૫ એકિટવ દર્દીઓ સાથે કચ્છમાં કોરોનાનો ખોફ
બેઠકોમાં વ્યસ્ત તંત્રના દાવાઓ પછીયે ટેસ્ટિંગ, બેડ, ઓકસીજન, ઇન્જે.ની મુશ્કેલીઃરાજયમંત્રી વાસણ આહીર દ્વારા સતત સમીક્ષા બેઠકો, કલેકટર દ્વારા કોવિડ કેર સેન્ટરના પ્રયાસોમાં સેવાભાવી સંસ્થાઓ વ્હારે, સારવાર અંગે લોકોમાં પ્રવર્તતો પેનીક અટકાવવા તંત્ર દ્વારા બેડ, ઓકિસ., ઈન્જે. માટે હેલ્પ ડેસ્ક જરૂરી
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૨: કચ્છમાં કોરોનાના કહેર વચ્ચે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ શનિવારે બેઠક કરી ગયા પછી હવે રાજયમંત્રી વાસણભાઇ આહીર સતત તાલુકા કક્ષાએ બેઠકો યોજી કોરોના અંગે સમીક્ષા કરી રહ્યા છે. બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. કોવિડ કેર સેન્ટર વધે તે માટેના પ્રયત્નોમાં છે. જોકે, આ દરમ્યાન સતત તંત્ર તરફથી બેઠકો અને કોરોનાની સારવાર સંદર્ભે સુવિધા અંગેના સમાચારો પણ આવતાં રહે છે. પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. છેલ્લા દ્યણા સમયથી કચ્છમાં રોજેરોજના કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો , સારવાર લેતા દર્દીઓની સંખ્યા તેમ જ મૃત્યુ આંક વધી રહ્યો છે. આમ, અત્યારે એક બાજુ કોરોનાનો ખોફ વધી રહ્યો છે બીજી બાજુ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ટેસ્ટિંગની મુશ્કેલી પડી રહી છે. તો, પોઝિટિવ દર્દીઓ માટે બેડ, ઓકસીજન અને ઈન્જેકશન મેળવવા વ્યથા બની રહી છે. સરકારી ચોપડે વધુ ૭ મોત, નવા ૨૦૦ દર્દીઓ સાથે સારવાર લેતાં દર્દીઓની સંખ્યા ૧૧૦૫ થઈ છે. જોકે, બિન સત્ત્।ાવાર આંકડાઓ આથી વધુ હોવાની ચર્ચા છે. જોકે, કોરોના મહામારીના આ બીજા વેવમાં પણ અગાઉની જેમ અનેક સેવાભાવી સંસ્થાઓ વ્હારે આવી રહી છે. જયારે તંત્ર દ્વારા દર્દીઓ ને દાખલ થવામાં બેડ અંગે જાણકારી આપવા, ઉપરાંત દાખલ દર્દીઓને પડતી ઓકસીજન તેમ જ ઈન્જેકશનની મુશ્કેલી સંદર્ભે હેલ્પ ડેસ્ક શરૂ થવું જોઈએ. જેથી, લોકોમાં કોરોનાની સારવાર અંગે પ્રવર્તતો પેનીક અટકી શકે.