માળીયા હાટીના તાલુકાના દુધાળા ગામ પાસે આવેલ દધીચી સરોવરમાંથી પાણી નદીમાં છોડતુ બંધ કરવા સાત ગામના સરપંચોએ કરી માંગણી
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૨ : માળીયાહાટીના તાલુકાના દુધાળા ગામ પાસે દધીચી સરોવર યોજના આવેલ છે અને તે યોજના અન્વયે વ્રજમી ડેમ બનાવવામાં આવેલ છે.
વાંદરવડના આગેવાન નારણભાઇ ભેટારીયાએ જણાવ્યુ હતુ કે આ વ્રજમી ડેમમાં પાણી ભરવામાં આવે છે તે દધીચી સરોવર યોજનાએ સિંચાઇ યોજના નથી પરંતુ ખારાપાણીને આગળ વધતા અટકાવવા માટેની યોજના છે અને તે યોજના અન્વયે જ તે ડેમમાં પાણી ભરવામાં આવે છે. પાણીનો સિંચાઇ માટે કોઇ ઉપયોગ કરવાનો થતો નથી અને હાલમાં તે ડેમમાં માંડ ૨૫ થી ૩૦ ટકા જેટલો પાણીનો જથ્થો છે.
જે હકીકત ધ્યાને લઇને વૃજમી જળાશયમાંથી સંગ્રહીત પાણી છોડવા માટે તજવીજ થઇ રહેલ છે. તે તુરંત અટકાવવા માટે યોગ્ય કરવા નારણભાઇ ભેટારીયા તેમજ વાંદરવડ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ૭ ગામના સરપંચોએ સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને નાયબ કાર્યપાલક ઇજનેર અંકુશ વિભાગ ચોરવાડને મામલતદાર મારફત રજૂઆત કરેલ છે.