કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂપૂર્ણિમાની સાદાઈથી ઉજવણી
અનેક ધાર્મિક સ્થળોએ ઓનલાઈન પૂજન-અર્ચનઃ કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે
રાજકોટ, તા. ૨૨ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે ગુરૂપૂર્ણિમા પર્વની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે.
અનેક ધાર્મિક સ્થળોએ ઓનલાઈન પૂજન-અર્ચન કરાશે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે.
જસદણ
(હુસામુદીન કપાસી દ્વારા) જસદણઃ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આખા સૌરાષ્ટ્રમાં આગામી ૨૪ જુલાઈને શનિવારે ગુરૂપૂર્ણિમા પવિત્ર દિવસ નિમિત્તે 'ગુરૂ પૂર્ણિમા'એ સનાતન વૈદિક સંસ્કૃતિનો પવિત્ર પાવન અવસર છે તથા હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનું ખૂબ જ મહત્વ છે. 'ગુર્રૃ બ્રહ્મા ગુર્રૃ વિષ્ણુ ગુર્રૃદેવો મહેશ્વરઃ ગુર્રૃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ' ભગવાન શ્રી રામ અને કૃષ્ણ એ પણ ગુરૂના આશિવર્ચન મેળવીને ધર્મનો પાયો નાખ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના બધા જ આયામોના હોદેદારો, કાર્યકરો સૌરાષ્ટ્ર પ્રાંતમાં સમાવિષ્ટ બધા જ જીલ્લાઓ, શહેરો, તાલુકા તથા ગ્રામ્યસ્તર સુધી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા જેઓનો સિંહફાળો રહેલો છે એવા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સંતો, મહંતો, મંડલેશ્વરો, મહામંડલેશ્વરો, શંકરાચાર્યજીને સન્મુખ થઈ પૂજન કરીને હિન્દુ સંસ્કૃતિ તથા ધર્મને ટકાવી રાખવા માટે તથા 'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા'ના આશિર્વાદ મેળવશે.
જુનાગઢ
જુનાગઢ : જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિર ખાતે આવતીકાલે કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી ગુરૂપુર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવશે.
મંદિરના મુખ્ય કોઠારી શા. સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) એ જણાવ્યુ હતું કે ચેરમેન દેવનંદનદાસજી એવમ ટ્રસ્ટી મંડળને સાથે રાખી ગુરૂપુર્ણિમાંની ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે નિજ મંદિરમાં ભગવાનનું પૂજન અર્ચન કરાશે અને સાંજે ૬ થી ૭ કલાકે પૂ. ગુણાતીતાનંદ સ્વામી, પૂ. ગોપાળાનંદસ્વામી, પૂ. બ્રહ્માનંદસ્વામીનું સંતો અને ભકતો દ્વારા પૂજન કરાશે અને ત્યારબાદ ચેરમેન દેવનંદનદાસજી, પૂ. પ્રેમસ્વરૂપદાસજી, પી. પી. સ્વામી ધર્મકિશોરસ્વામી સહિતના સંતો હરિભકતોને શુભકામના અને આશિર્વચન આપશે તો સૌ હરિભકતોએ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી દર્શનનો લાભ લેવા કોઠારી પ્રેમસ્વરૂપદાસજીએ અપીલ કરી છે.
ચલાલા
(પ્રકાશ કારીયા દ્વારા) ચલાલા : જગવિખ્યાત અંચા અવતાર પૂજન દાન મહારાજની જગ્યા ચલાલાના વ્યવસ્થાપક જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં કોચના મહામારીના લીધે પૂ. દાનમહારાજની જગ્યામાં ગુરૂપૂર્ણીમાનો ઉત્સવ મેળાવડો સંપૂર્ણ બંધ રાખવામાં આવેલ છે.
આવતી તા. ર૪-૭-ર૦ર૧ શનીવારના રોજ ગુરૂપૂર્ણીમાને દિવસે તમામ ભાવીક ભકતજનોએ પોતાના ઘેર પૂ. દાનમહારાજનો ફોટો પધરાવી પૂજન કરી લેવું. જગ્યામાં પરંપરા મુજબ પાદુકા પૂજન કરવામાં આવે છે. ઉત્સવ મેળાવડો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.