સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

પરમધામ ખાતે બે દિવસીય ગુરૂપૂર્ણિમા અવસર : ભકિતસભર કાર્યક્રમો

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ની નિશ્રામાં

રાજકોટ,તા.૨૨: હજારો હૃદયમાં ગુરૂ તત્ત્વના અનન્ય સ્થાન પર બિરાજી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણમાં આગામી ગુરૂપૂર્ણિમા અવસરે મહારાષ્ટ્રના, પરમધામ સાધના સંકુલના દિવ્ય પ્રાકૃતિક સ્પંદનોમાં બે દિવસીય ગુરૂપૂર્ણિમા અવસરનું અનેરૃં આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે પરમધામ સાધના સંકુલમાં ચાતુર્માસ અર્થે સ્થિત ૪૮ સંત-સતીજીઓ પણ ગુરૂ ચરણે ભકિત અર્પણ કરશે.

તા. ૨૪ અને ૨૫ એમ બે દિવસીય 'ગુરૂ-કરૂણા અને કલ્યાણનો સરવાળો' ગુરૂપૂર્ણિમા અવસરના કરવામાં આવેલાં આયોજન અંતર્ગત સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મુંબઈ, પૂર્વ ભારત, ઉત્ત્।ર ભારત, દક્ષિણ ભારતના અનેક ક્ષેત્રોના ગુરૂ ભકતોની સાથે વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સુદાન, દુબઈ, અબુધાબી, મલેશિયા, આફ્રિકા આદિ વિદેશના અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો જોડાઈને પોતાના શિષ્યત્વની અર્પણતા કરવા આતુર બની રહ્યાં છે.

ગુરૂ-શિષ્યની યુગો-યુગોની ગૌરવવંતી પરંપરાને ઉજાગર કરનારા આ મહોત્સવમાં તા. ૨૪ ને શનિવારે સવારના ૮ કલાકે ભકિત સંગીતના વિશેષ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર જતિનભાઈ બીડ અને ચિંતનભાઈ રાણાની સ્તવના સાથે અન્ય રસપ્રદ કાર્યક્રમો યોજાશે.

વિશેષમાં આ અવસરે શાસનદીપક ગુરૂદેવ પૂજય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબની ૧૧મી પુણ્યતિથિ અવસરે ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા પૂજય શ્રી જય-વિજયાજી મહાસતીજી-મા સ્વામીની સ્મૃતિમાં છેલ્લા ૧ વર્ષથી ચાલતું મેગેઝીન શ્નમાં સ્વામીની પ્રેરણાલૃના આ અંકમાં ગુરૂ-શિષ્યની પરંપરા પર રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવનો સંવાદ,'પારદર્શી સંવાદ-અનંતને પાર અનહદનો સાર' અંકનું આ અવસરે વિમોચન કરવામાં આવશે.

એ સાથે જ, ૨૫મી જુલાઈ,રવિવારે સવારના ૯ કલાકે લુક એન લર્ન જૈન જ્ઞાનધામના અનેક સેન્ટર્સ, અર્હમ યુવા સેવા ગ્રુપના અનેક સેન્ટર્સ, પરમ ગુરૂદેવ પ્રેરિત અનેકવિધ મિશન્સના વિવિધ ગ્રુપ્સ તેમજ અનેક ગુરૂભકતો દ્વારા પોતાના અંતરની ભકિત - સમર્પણતાની અદભૂત પ્રસ્તુતિ કરશે.

આ અવસરે હાર્દિકભાઈ શાહ ભકિતગીતોની રમઝટ સાથે સહુને ભકિતભાવમાં ભીંજવશે.

ઉલ્લેખનિય છે કે, દર વર્ષે ગુરૂપૂર્ણિમાના અવસરે હજારો ભાવિકો દેશ-વિદેશથી પરમ ગુરૂદેવના સાંનિધ્યે શ્રદ્ઘા-સમર્પણભાવની અર્પણતા કરવા ગુરૂ ચરણે પધારી જતાં હોય છે. ત્યારે વર્તમાન સમયની કોરોના મહામારીને અનુલક્ષીને સરકારી ગાઇડલાઇનને અનુસરતાં માત્ર મર્યાદિત સંખ્યામાં ભાવિકો દેશના અનેક ક્ષેત્રોથી પરમધામ સાધના સંકુલમાં પરમ ગુરૂદેવના સાંનિધ્યે પધારશે. વિશેષત : હજારો ભાવિકોને લાઈવના માધ્યમે આ અવસરે જોડાઈ પોતાની સમર્પણતાની અભિવ્યકિત કરવા ભાવભર્યું આમંત્રણ છે.

(12:09 pm IST)