કેશોદના શેરગઢમાં છ ફૂટના અજગરે ગળી ગયેલો નોળીયો બહાર કાઢયો
(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા. રરઃ કેશોદના શેરગઢ ગામે એક ખેતર પાસે છ ફૂટનો અજગર લોકોના ધ્યાનમાં આવતા જંગલખાતા થ્વારા રેસ્કયુ કરવામાં આવતા અજગરે ગળી ગયેલ નોળીયો બહાર કાઢતા લોકોમાં કુતૂહલ સજૉયેલ હતુ.જાણકારોના મતે એકવાર અજગર કોઈ ચીજ ગળી જાય પછી જવલ્લે જ તેને બહાર કાઢે છે અને જ્યારે આવું દૃશ્ય સામે આવે તે ભાગ્યે જ જોવા મળતી ઘટના બનતી હોયછે.
શેરગઢના કૃષ્ણનગર વિસ્તારના એક ખેતર પાસે અજગર દેખાતા ગ્રામજનોએ જંગલ ખાતાને જાણ કરી હતી. વનવિભાગે આ આ છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યુ હતું ત્યારે અજગરને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. દરમિયાન અજગરના રેસ્ક્યૂ વખતે એક દુર્લભ ઘટના સામે આવી હતી. પ્રકૃતિ પ્રેમીઓ આ ઘટનાને ભાગ્યે જ જોવા મળતી ઘટના તરીકે વર્ણવે છે. અહીંયા જ્યારે અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેણે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો હતો. આ ઘટનાના દિલધડક દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. આમ શેરગઢનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.
અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી અને તેને વનવિભાગના નિયમો મુજબ એનિમલ કેર સેન્ટર સાસણ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાના બનાવે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી.