સ્વર્ગસ્થને કોરોના વેકસીન પ્રકરણમાં મેડિકલ ઓફિસરને શો કોઝ નોટિસ.: કોણે ગંભીર ભૂલ કરી તે બાબતે ઉંડી તપાસ શરૂ
મોરબીમાં સ્વર્ગસ્થ વ્યક્તિને કોરોના વેકસીનેશન કરવાનો ભયંકર ગોટાળો બહાર આવ્યા બાદ આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે હાલ મેડિકલ ઓફિસરને નોટિસ ફટકારી છે અને આ પ્રકરણની ઉંડી તપાસ હાથ ધરી છે.
મોરબીના સર્કિટ હાઉસ પાસે રહેતા ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમના પિતાજી રાજેન્દ્રસિંહનુ તારીખ ૨૩/૦૪/૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આમ છતાં વડાપ્રધાનના જન્મ દિવસ ૧૭/૦૯/૨૨ ના રોજ તેમના પિતાજી રાજેન્દ્રસિંહ મદારસિહ જાડેજાને વેક્સીન આપી હોવાનું આરોગ્ય વિભાગે નોંધ્યું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, રાજેન્દ્રસિંહ એપ્રિલ માસમાં અવસાન પામ્યા હોવા છતાં તેમના નામનુ પ્રમાણપત્ર પણ જનરેટ થઈ ગયું હતું.
આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ સો ઓરડીના મેડિકલ ઓફિસરને શો કોઝ નોટિસ ફટકારી છે. અને જ્યારે મેડિકલ ઓફિસરે નોટિસના જવાબમાં જણાવ્યું હતું કે, 17 તારીખે વેક્સિનેશન માટે વધારે સાઇટ રાખી હોય તેથી એન્ટ્રી કરવા માટે બીએલઓ અને તલાટીની પણ મદદ લેવામાં આવી હતી. આથી, આ કેસમાં કોણે ભૂલ કરી તે અંગે તપાસ હાથ ધરી છે.