મંગળવારે ઘરેથી નીકળી ગયેલા જામનગરના યુવાનની રાજકોટમાં લાશ મળતાં અરેરાટી
આજીડેમ પાસે ગોૈશાળા નજીક પાણીમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યોઃ જામનગર મ્યુ. કોર્પો.નો હંગામી કર્મચારી હતોઃ આપઘાત કર્યાની શક્યતા
રાજકોટ તા. ૨૩: જામનગરમાં ખંભાળીયા નાકે રહેતો કિરણભાઇ કમલેશભાઇ પારીયા (ઉ.વ.૨૫) નામનો મહેશ્વરી યુવાન મંગળવારે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થતાં અને ગઇકાલે તેની લાશ આજીડેમ નજીક કિસાન ગોૈશાળા પાસે મેલડી માતાના મંદિર પાછળ પાણીમાંથી મળતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
ગઇકાલે સાંજે કિસાન ગોૈશાળા નજીક પાણીમાંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળતાં પોલીસ કન્ટ્રોલ રૂમના પીએસઆઇ પી. આર. ગઢવીએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી. બી. સુખાનંદીએ પહોંચી ફાયર બ્રિગેડના જવાનોની મદદથી મૃતદેહ બહાર કઢાવી પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. મૃતદેહ ફુલાઇ ગયો હોઇ લાશ બે ત્રણ દિવસથી પડી હોવાનું તારણ નીકળ્યું હતું.
પોલીસને મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડને આધારે તપાસ થતાં આ લાશ જામનગરના કિરણભાઇ પારીયાની હોવાનું સ્પષ્ટ થતાં તેના પરિવારજનોને બોલાવ્યા હતાં. તેણે ગયા વર્ષે જ કોલેજનો અભ્યાસ પુરો કર્યો હતો અને હાલમાં જામનગર મ્યુ. કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગમાં હંગામી નોકરીમાં જોડાયો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. ગયા મંગળવારે તે ઘરે જાણ કર્યા વગર નીકળી ગયો હતો. અગમ્ય કારણોસર તેણે આપઘાત કર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. કારણ જાણવા તપાસ યથાવત રાખવામાં આવી છે.