શ્રીનાથગઢ પાસે બોલેરોની ઠોકરે ટુવ્હીલર ચડતાં વાસાવડના પ્રભાબેન ખાંટનું મોત
ગોંડલથી દર્શન કરી ઘરે જતી વખતે બનાવઃ માસુમ પુત્ર મા વિહોણો થતાં અરેરાટી
રાજકોટ તા. ૨૩: ગોંડલના શ્રીનાથગઢ અને મોવૈયા વચ્ચેના રસ્તા પર બોલેરોની ઠોકરે ટુવ્હીલર ચડી જતાં તેના ચાલક વાસવાડના ખાંટ મહિલા ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ વાસાવડ રહેતાં પ્રભાબેન શૈલેષભાઇ ભડલીયા (ખાંટ) (ઉ.વ.૩૦) ગઇકાલે એક્સેસ હંકારી ગોંડલ દર્શન કરવા આવ્યા હતાં. સાંજે ચારેક વાગ્યે પરત પોતાના ગામ વાસાવડ તરફ જઇ રહ્યા હતાં તે વખતે શ્રીનાથગઢ-મોવૈયા વચ્ચે પાણીના ટાંકા પાસે બોલેરોની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમના પતિ શૈલેષભાઇ છુટક કામ કરે છે. સંતાનમાં એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતાં બોલેરો ચાલક અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.