સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

પોરબંદર સાંદીપનિમાં પૂ. ભાઇશ્રીના સાનિધ્‍યમાં શારદીય નવરાત્રી અનુષ્‍ઠાન

હરિ મંદિરે નૂતન ધ્‍વજારોહણ પૂજન શ્રી રામચરિત માનસ સાંદીપનિ ગૌરવ એવોર્ડ મેડીકલ કેમ્‍પ તથા રાસ-ગરબા સહિત વિવિધ કાર્યક્રમો : સાંદીપનિ ટીવી - યુ ટયુબ ઉપર લાઇવ પ્રસારણ

(હેમેન્‍દ્રકુમાર પારેખ, વિનુ જોશી દ્વારા) પોરબંદર, જૂનાગઢ તા. ૨૩ : સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્‍યાત્‍મિક અને સામાજિક સેવાકીય કાર્યો સાથે યોજાશે.

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ વર્ષે ૪૧મું શારદીય નવરાત્રી અનુષ્ઠાન તા. ૨૬ સપ્‍ટેમ્‍બર થી તા. ૫ ઓકટોબર  દરમ્‍યાન ઉજવવામાં આવશે. સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્‍થાપક પૂ. રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે ૯થી ‘શ્રીરામ ચરિતમાનસ'નું મૂળ પારાયણ થશે તથા બપોર બાદ ૩.૩૦ વાગ્‍યેથી પ્રતિદિન પરમ પૂજય  રાઘવાચાર્યજી મહારાજના વ્‍યાસાસનથી ‘શ્રી વાલ્‍મીકિ રામાયણ કથા'ના શ્રવણનો અલભ્‍ય અવસર પ્રાપ્ત થશે.  શારદીય નવરાત્રિ અંતર્ગત  શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્‍વજારોહણ, પૂજન અને શ્રીકરૂણામય માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્‍ય દર્શન અને સાયં આરતી અને રાસ-ગરબા થશે.

શારદીય નવરાત્રિ મહોત્‍સવમાં વિશેષતઃ તા. ૪ ઓકટોબર મંગળવારના રોજ બપોર બાદ ૩.૩૦થી ૨૬મા સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું છે. ૨૬મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં પૂજય રમેશબાબાજી મહારાજ, વ્રજ, ગોકુલને દેવર્ષિ એવોર્ડ, આચાર્યશ્રી પ્રોફેસર રામચંદ્ર ભટ્ટ, બેંગ્‍લોરને બ્રહ્મર્ષિ અવોર્ડ, શ્રેષ્ઠીવર્ય પદ્મશ્રી બંસીલાલજી રાઠી, ચેન્નઈને રાજર્ષિ એવોર્ડ અને સરદાર કન્‍યા વિદ્યાલય એવં છાત્રાલય, બારડોલી, સુરતના સુશ્રી નિરંજનાબેન કલાર્થીનું મહર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. આ ગૌરવ એવોર્ડ સમારોહ પૂજય ભાઇશ્રી અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં યોજાશે. જેનું લાઈવ ટેલીકાસ્‍ટ sandipani.tv  યુ-ટયુબ ચેનલ પર થશે.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં પૂજય ભાઈશ્રીના સાન્નિધ્‍યમાં શ્રીરામચરિતમાનસ અનુષ્ઠાન અને કથાની સાથે શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ સંપન્ન થશે. જેમાં પ્રતિદિન દરેક શિખર પર નુતન ધ્‍વજારોહણ, શ્રી કરૂણામયીમાતાનું ષોડશોપચાર પૂજન એવં સાયંકાળે અલૌકિક દિવ્‍ય ઝાંખીના દર્શન યોજાશે. આ સિવાય વિશેષ મનોરથમાં તા. ૨૮ના રોજ કરૂણામયી માતાજીના નૌકાવિહાર, તા.૧ ઓકટોબરના રોજ જલ પુષ્‍પાભિષેક,  તા. ૩ ઓકટોબર દુર્ગાષ્ટમીના દિવસે અન્નકૂટ મનોરથ સંપન થશે.

તા. ૫ ઓકટોબર વિજયાદશમીના અવસરે સાંદીપનિ  યજ્ઞશાળામાં હોમાત્‍મક સુંદરકાંડ યજ્ઞ કરવામાં આવશે તેમજ વિજયાદશમીના પાવન દિવસે સવારે શ્રીહરિ મંદિરમાં દ્વારકાધીશજીની ધ્‍વજાજીનું પૂજન થશે અને સાયંકાલે ૫ વાગ્‍યે દ્વારકા મુકામે જગતમંદિરે પૂજય ભાઇશ્રી અને ભાવિકોની ઉપસ્‍થિતિમાં ધ્‍વજારોહણ થશે.

શારદીય નવરાત્રિમાં મા ભગવતીની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વર્ષે સાંદીપનિ વિદ્યાનિકેતનમાં વૈદિક ટીમ દ્વારા સપાદ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ ૧૦૮ પાઠ, સરસ્‍વતીદેવી સ્‍તોત્ર પાઠ, શ્રીસુકત ૧૦૮ પાઠ, લક્ષ્મીપ્રાપ્તિ હેતુ કમલાપ્રયોગ એવં શ્રીયંત્ર પૂજા, સંગીતમયી દેવી સંકીર્તન જેવા વિશેષ મનોરથ સંપન્ન થશે. આ મનોરથમાં ભાવિકો જોડાઈ શકે છે. સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવ દરમ્‍યાન તા. ૪ મંગળવારના રોજ પોરબંદરની આગવી ઓળખ મહેર દાંડિયા રાસ યોજાશે.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવ દરમ્‍યાન ધાર્મિક કાર્યક્રમોની સાથે પૂજય ભાઇશ્રીની પ્રેરણાથી સેવાકીય કાર્યો તરીકે વિવિધ મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંદીપનિ પરિસરમાં તા. ૨૬ સપ્‍ટેમ્‍બર થી તા. ૪ ઓકટોબર સુધી પ્રતિદિન સવારે ૯ થી બપોરે ૧ સુધી દંતયજ્ઞ કેમ્‍પ, તા. ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી નેત્રમણીના સાથે નેત્રયજ્ઞ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

તા. ૧ ઓકટોબરના રોજ લાયન્‍સ હોસ્‍પિટલ ખાતે યોજાનાર  પલ્‍મોનોલોજી કેમ્‍પ જેમાં રાજકોટના જાણીતા ડો.જયેશભાઈ ડોબરીયા તથા  એન્‍ડોક્રાઈનોલોજી કેમ્‍પમાં અમદાવાદના ડો.વિવેકભાઈ આર્ય પોતાની સેવા આપશે. આ બન્ને કેમ્‍પનો સમય સવારે ૯ થી ૧ સુધી રાખવામાં આવેલ છે. તમામ મેડિકલ કેમ્‍પ્‍સની વિશેષ માહિતી માટે કો-ઓર્ડિનેટર ડો. સુરેશભાઈ ગાંધી તથા ડો. ભરતભાઈ ગઢવીનો સંપર્ક કરવો જેના સંપર્ક નંબર ૯૭૧૨૨ ૨૨૦૦૦ છે.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવના મુખ્‍ય મનોરથી શ્રીમતી દિવ્‍યાબેન અરૂણભાઈ લોઢીયા, દાર-એ-સલામ, ટાન્‍ઝાનીયા છે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવમાં યોજાનારા અનુષ્ઠાન, કથા-શ્રવણ અને દરેક મનોરથ દર્શનનો અમૂલ્‍ય લાભ લેવા સાંદીપનિ પરિવારની યાદીમાં જણાવાયું છે.

(1:17 pm IST)