સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

જામનગરના સાંસદ પૂનમબેન માડમનો જન્‍મદિન

જામનગર : પૂનમબેનને જન્‍મથી, ગળથૂંથીમાં સુરાજયના સંસ્‍કારો મળેલા છે. નિષ્ઠા હોય, લગન હોય, આકાશને આંબવાની હામ હોય અને રાજકીય કુનેહ હોય તો કોઈપણ નેતા સફળ થાય જ છે. પૂનમબેન રાજકારણમાં સમાજ સેવાનો પ્રવેશ કરાવે છે, સમાજસેવામાં રાજકારણ તેઓ શરૂથી નકારી દે છે.

પૂનમબેન માને છે કે... Your work Should speak, not you, બરાબર આ સૂત્રને અનુસરતા તેઓશ્રીએ સમાજ ઉપયોગી કાર્યોની હારમાળા શરૂ કરી દીધી છે. ગૌરક્ષા હોય કે, વ્‍યસનમૂકિત, વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં શિષ્‍યવૃતિ આપવાની હોય કે પોતાના મતવિસ્‍તારની જનતાના સતત સંપર્કમાં રહેવાનું હોય, તેઓના અટકાવાઈ ગયેલા કાર્યો કરવાના હોય. પૂનમબેન આ બધામાં આગળ રહે છે. સમાજની સેવા કરવાની તક સાથે તેઓ પોતાના પદની ગરીમા ઉજજવળ કરી રહયા છે.

પૂનમબેન માડમે તેમના પિતાશ્રીની સ્‍મૃતિમાં ટ્રસ્‍ટની સ્‍થાપના કરી અને સતત સાત વર્ષથી અનેકવિધ ક્ષેત્રોમાં સેવાકાર્યો કરી રહયા છે. ટ્રસ્‍ટ દ્વારા ગૌસેવા સારવાર કેન્‍દ્ર કાર્યરત છે. જેમાં નિષ્‍ણાંત ડોકટરો દ્વારા ગાયોની વિનામૂલ્‍યે સારવાર પૂરી પાડવામાં આવે છે. રમત-ગમત ક્ષેત્રે ટ્રસ્‍ટ દ્વારા ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ, બાસ્‍કેટબોલ, કબડ્ડી જેવી ટુર્નામેન્‍ટોનું આયોજન કરી ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવે છે. કપીલદેવ, સહેવાગ, યુસુફ પઠાણ, પાર્થિવ પટેલ, પ્રજ્ઞાન ઓઝા, મુનાફ પટેલ જેવા આંતરરાષ્‍ટ્રીય સ્‍ટાર ખેલાડીઓને નિમંત્રીત કરી ખેલાડીઓને પ્રેરણા પ્રોત્‍સાહન આપવામાં આવે છે. સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા ધાર્મિક ઉત્‍સવોની ઉજવણીમાં યથાયોગ્‍ય યોગદાન આપવામાં આવે છે.  આરોગ્‍ય ક્ષેત્રે સર્વરોગ નિદાન કેમ્‍પ, રકતદાન કેમ્‍પ, નેત્ર નિદાન કેમ્‍પ જેવા કેમ્‍પો યોજાય છે. એઈડસ, ડાયાબીટસ, સ્‍વાઈનફલૂ, ડેન્‍ગ્‍યુ જેવા રોગોના પ્રતિકાર માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. વ્‍યસનમૂકિત અભિયાન ચલાવવામાં આવે છે.

કુદરતી આફતો સમયે રાહત કામગીરીમાં પણ ટ્રસ્‍ટે અસરગ્રસ્‍તોને સલામત સ્‍થળે ખસેડવા, ફુડ પેકેટસ આપવા જેવી કામગીરી કરી છે. ખેડૂતો માટે કૃષિ વિષયક માહિતી અંગે કાર્યક્રમો, ગ્રાહક સુરક્ષા અંગે માર્ગદર્શન કેમ્‍પ યોજી પ્રશ્‍નોના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવે છે. તેમજ જાહેર જનતાને સ્‍પર્શતા પ્રશ્‍નોની પણ ટ્રસ્‍ટ દ્વારા નિરાકરણ માટે રજુઆત કરવામાં આવે છે.

પૂનમબેન માડમ ર૦૧ર માં ડિસેમ્‍બર મહિનામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતાં. તેમના ધારાસભ્‍ય તરીકેના કાર્યકાળ દરમ્‍યાન તેમણે તેમના મતવિસ્‍તારના લગભગ તમામ ગામડાઓનો પ્રવાસ કરી સતત લોકસંપર્ક જાળવી રાખ્‍યો છે. તેમજ ખંભાલીયા, ભાણવડ વિસ્‍તારમાં અનેક વિકાસના કાર્યો પૂર્ણ થયા છે તો અસંખ્‍ય નાનામોટા પ્રોજેકટો મંજુર કરાવી તે અંગેની કામગીરી શરૂ કરાવેલ છે અને પ્રજાના પ્રશ્‍નોના નિકાલ અંગે રાજય સરકારશ્રીના જુદા જુદા ખાતાના અધિકારીઓ સાથે લોક સમીક્ષા બેઠક યોજી જે તે સમયે જ રજુ થયેલા પ્રશ્‍નોમાંથી નીતિ વિકાયક કે સબ જયુડીશ બાબતો સિવાયના મહતમ પ્રશ્‍નોનું નિરાકરણ કર્યુ હતું.

વર્ષ ર૦૧૪ માં યોજાયેલી લોકસભાની સામાન્‍ય ચૂંટણીમાં ૧ર-જામનગર લોકસભા મતવિસ્‍તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્‍ય તરીકે વિજેતા થયા હતા અને સંસદ સભ્‍ય તરીકે તેઓ તેમના મતવિસ્‍તારમાં સતત લોકસંપર્ક સાથે કાર્યરત રહ્યા હતા. કેન્‍દ્ર સરકારના માઘ્‍યમથી જામનગર જિલ્લો તથા દ્વારકા જિલ્લાને વધુને વધુ સુવિધાઓ પ્રાપ્‍ત થાય તે માટે સતત પ્રયત્‍નશીલ અને કાર્યરત રહ્યા હતા. જામનગરના અનેક પ્રશ્‍નોની તેમણે ઉચ્‍ચસ્‍તરે રજુઆત કરી હતી. જેમાં ખાસ કરીને ઉત્‍પાદન અને કૃષિ ક્ષેત્રના પ્રશ્‍નોની અસરકારક રજુઆત કરવામાં આવી હતી. તેમના મતવિસ્‍તારમાં આવતાં યાત્રાધામ દ્વારકા શહેરની કેન્‍દ્ર સરકાર દ્વારા હેરીટેજ સીટી તરીકે વિકસાવવા માટે પસંદગી થઈ છે અને શીવરાજપુર બીચનો વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે.

શ્રી પૂનમબેન માડમની જળહળતી કામગીરી અને લોકપ્રિયતાને ઘ્‍યાને લઈને ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ફરી તેમને ઉમેદવારી કરવાની તક મળી હતી અને તે તકને સાર્થક કરીને તેઓશ્રી સતત બીજી વખત જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્‍ય તરીકે નોંધપાત્ર બહુમતીથી વિજેતા થયા છે.

સંસદ સભ્‍યની રૂએ તેઓશ્રીની ભારત સરકાર દ્રારા અગત્‍યની કમિટીઓ જેવી કે પાર્લામેન્‍ટરીની સ્‍ટેન્‍ડીંગ કમિટી ઓન પબ્‍લીક સેકટર તેમજ મહિલા સશકિતકરણની સ્‍ટેન્‍ડીંગ કમિટી અને રાજકોટમાં આકાર પામનાર AIIMSની કમિટિ સહિતની અગત્‍યની કમિટિઓમાં નિયુકિત થઇ છે.

સાંસદ તરીકે પૂનમબેન માડમ અનેકવિધ લોકસેવાના કાર્યો તો કરે જ છે સાથે સાથે તેઓશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આહ્‌વાનના પગલે ૧૨-જામનગર સંસદીય ક્ષેત્રમાં પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મજયંતિ નિમિતે ‘ગાંધી સંકલ્‍પ યાત્રા'નું તેઓશ્રીના નેતૃત્‍વમાં તાજેતરમાં આયોજન થયું છે અને ગામડે ગામડે તેઓશ્રી ગાંધીજીના મૂલ્‍યોને લોકો જીવનમાં વણી લે તે માટે અનુરોધ કરવા પદયાત્રા કરી રહ્યા છે આ પદયાત્રાને ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે.

જીનીવામાં ‘ગ્‍લોબલ કોન્‍ફરન્‍સ ઓફ યંગ પાર્લામેન્‍ટ્રીયન્‍સ'માં તેમણે ભારતના સંસદ સભ્‍ય તરીકે ભાગ લીધો હતો. તેમજ જીનીવામાં યોજાયેલ વર્લ્‍ડ ઈન્‍ટર પાર્લામેન્‍ટરી યુનિયનની ૧૩૧ મી એસેમ્‍બલીમાં લોકસભાના અધ્‍યક્ષ સુશ્રી સુમિત્રા મહાજનજી સાથે ભાગ લેવાનો અવસર મળ્‍યો હતો.

તેમના મો.નં. ૯૯૨૫૦ ૯૯૮૮૧ ઉપર જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે

(3:58 pm IST)