સરધારમાં કારની ઠોકરે બાઇક ચડી જતાં વૃધ્ધ ગોવિંદભાઇ ગમારાનું મોત
પંદર દિવસની સારવાર બાદ દમ તોડ્યોઃ ભરવાડ પરિવારમાં ગમગીની
રાજકોટ તા. ૨૩: સરધારમાં રહેતાં ગોવિંદભાઇ સુરાભાઇ ગમારા (ઉં.વ.૬૦) નામના ભરવાડ વૃધ્ધ તા. ૮ના રોજ બાઇક હંકારીને જતાં હતો ત્યારે ગામમાં અસોભાવ હોટેલ પાસે કારના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
ગોવિંદભાઇ ગત ૮મી તારીખે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે કારની ઠોકરે ચડી ગયા હતાં. પ્રથમ સરધારની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના વી. બી. સુખાનંદીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ગોવિંદભાઇ પશુપાલન કરતાં હતા. તે બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.