સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th January 2021

રવિવાર ગોઝારો : ધ્રાંગધ્રા નજીક અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ : ત્રણ અકસ્માતમાં આઠ લોકોના મોત

ધાંગ્રધ્રા પાસે એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત: ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો અને માંઝા ગામ નજીક ટેમ્પોએ સ્કૂટરને અડફેટે લેતા 2ના મોત

અમદાવાદ : આજે રવિવાર ગોઝારો સાબિત થયો છે. આજે ત્રણ મોટા અકસ્માત સર્જાયા છે. જેમાં કુલ 8 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગરમાં કચ્છ-અમદાવાદ હાઇવે પર કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધ્રાંગધ્રા પાસે અકસ્માતમાં 4 વ્યક્તિના મૃત્યુ થયા છે

  આ અકસ્માત મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ એસ.ટી. બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ થયા. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત એટલો ભંયકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ક્રેઇનની મદદ લેવી પડી હતી.

ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે જામખંભાળીયા-ભાણવડ રોડ પર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા.

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતો. કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. તો અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. કાર અને ટ્રેક વચ્ચે ભયંકર ટક્કર થતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. અકસ્માતનો ભોગ બનેલી કાર તેલંગણા પાસિંગની છે

અકસ્માત સર્જાતા લોકો એકઠા થયા હતા. ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરી દેવાઇ હતી. તો બનાવની પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

જામખંભાળીયા-ભાણવડ રોડ પર અકસ્માત સર્જાયો હતો. માંઝા ગામ નજીક ટેમ્પો અને સ્કૂટર પર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે. ટેમ્પોની અડફેટે સ્કૂટર સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે મોત નિપજ્યા. તો બાળક ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

(8:24 pm IST)