વેરાવળ - મુંબઇ વચ્ચે નિયમીત વિશેષ ટ્રેન શરૂ
પ્રથમ ટ્રેનમાં ૧૦૨ મુસાફરો હતા : વેરાવળથી દરરોજ બપોરે ૧૧.૫૦ કલાકે ઉપડશે
રાજકોટ તા. ૨૪ : પશ્ચિમ રેલવે બોર્ડ દ્વારા ગઇકાલથી વેરાવળ - મુંબઇ વચ્ચે નિયમિત ટ્રેન લેવા શરૂ કરી દેવાઇ છે, પહેલા દિવસે જો કે માત્ર ૧૦૨ મુસાફરો વિવિધ કલાસના કોચમાં હતા, આ ટ્રેન વેરાવળથી દરરોજ બપોરે ૧૧.૫૦ કલાકે ઉપડી બીજે દિવસે સવારે ૫.૪૫ વાગ્યે મુંબઇ - બાન્દ્રા ટર્મીનલ પર પહોંચશે, ત્યાંથી બપોરે ૧.૦૦ વાગ્યે રવાના થઇ બીજા દિવસે સવારે ૭.૨૦ કલાકે વેરાવળ પહોંચશે.
આવન-જાવન બંને બાજુએ આ ટ્રેનને જૂનાગઢ, જેતલસર, ગોંડલ, ભકિતનગર, રાજકોટ, વાંકાનેર, થાન, મૂળી રોડ, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, અમદાવાદ, મણિનગર, મહેમદાવાદ, ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, પાલેજ, ભરૂચ, અંકલેશ્વર, કોલંબા, સુરત, નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, દહાણુ રોડ, પાલઘર, વિરાર, બોરીવલી, અંધેરી સ્ટેશનો ઉપર સ્ટોપ કરશે. ટ્રેનને ગઇકાલે સ્ટેશન માસ્ટર એ.આર.ત્રિવેદી, એમ.બી.ખાને લીલીઝંડી આપી રવાના કરી હતી. ટ્રેનમાં ત્યારે બે ડ્રાઇવર એચ.એન.કુરેશ, જયદીપકુમાર અને ગાર્ડ પી.એમ.સૂરાણી હાજર હતા.