જાડેજાના હસ્તે પ૦ બહેનોને સિલાઇ મશીન વિતરિત
જામનગર ,તા.ર૩ : લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા જામનગરની ૫૦ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે બહેનોને સિલાઈ મશીન વિતરિત કરવામાં આવ્યા હતા.
આ તકે રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, સમાજમાં રહેલી આવી સેવા સંસ્થાઓના નેજા હેઠળ સમાજના ઉત્થાન કાર્ય આદર્શ રીતે થઈ રહ્યા છે. દરેક વ્યકિત પોતાના માટે તો કાર્ય કરતું જ હોય છે પરંતુ સમાજ માટે મદદરૂપ થવું એ અત્યંત પ્રશંસાપાત્ર છે. વળી, રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સમાજના દરેક વ્યકિતને આત્મનિર્ભર બનવા માટે કટિબધ્ધ છે. આ પ્રયાસોમાં સેવા સંસ્થાઓનું જોડાણ ઁસોને પે સુહાગાઁ જેવું છે.
આ તકે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, નોબતના તંત્રી પ્રદિપભાઈ માધવાણી, વિનુભાઈ કોટક તથા લોહાણા મહિલા સેવા સમાજ સંસ્થાના વડા સુલોચનાબેન તન્ના તથા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.