પોરબંદર જિલ્લાના જળપલ્વાતિત વિસ્તારમાં વિદેશી મહેમાન પક્ષીઓનું મોડું આગમન
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૪ : જિલ્લાના જળ પલ્વાતિત વિસ્તારોમાં દર વર્ષે શિયાળામાં મહેમાન બનીને આવતા સુરખાબ સહિત વિદેશી પક્ષીઓનું મોડું આગમન થઇ રહ્યું છે પોરબંદર જિલ્લામાં દર વર્ષે વિદેશી મહેમાન પક્ષીઓ ઓકટોબરના અંતિમ દિવસોમાં આવવા માંડે છે ત્યારે આ વર્ષે વિદેશી પક્ષીઓ પોરબંદર જિલ્લામાં બહુ ઓછી સંખ્યામાં તેમજ મોડા આવી રહેલ છે.
દેશ દુનિયાના વાતાવરણમાં વધતા પ્રદુષતી સહિત ફેરફારને લીધે કે અન્ય કારણથી પોરબંદર જિલ્લામાં વિદેશી પક્ષીઓ આ વર્ષે ઓછા પ્રમાણમાં અને મોડા આવી રહેલ છે જેને લીધે પક્ષી પ્રેમીઓમાં ચિંતા વધતી જાય છે.
પોરબંદરના જળ પલ્વાતિત વિસ્તારો તથા પક્ષી અભ્યારણ શિયાળામાં આવતા દેશ-વિદેશના વિવિધ પક્ષીઓના અભ્યાસ માટે જાણીતા છે.
સૌ પ્રથમ પોરબંદર જિલ્લામાં ૧૯૮૧ માં સુરખાબે દેખા દેતા પક્ષી અને પ્રકૃતિપ્રેમીઓ રોમાચીંત થઇ ગયા હતા. પોરબંદરમાં મહેમાન બની વિદેશી પક્ષી અંગે સુવિધા વધારવા તે સમયે યુનોમાં રજુઆત થઇ હતી ત્યાર પછી યુનો દ્વારા આ અંગે તે વખતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને જાણ કરાય હતી. ઇન્દિરા ગાંધીએ પક્ષી પ્રેમી શિવરાજ ખાચરને અભ્યાસ માટે પોરબંદર મોકલ્યા હતા તેમની જળ પ્લાતિત વિસ્તારની મુલાકાત બાદ તે સમયે નગરપાલિકાના પ્રમુખ લાલજીભાઇ પાંજરીએ રસ લઇને સ્ટાફને સાથે રાખીને પોરબંદરના જળપ્લાતિત વિસ્તારોની મુલાકાત લઇને અભ્યાસ રીપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી આપેલ અને કેન્દ્રમાંથી મોરી રકમની ગ્રાન્ટ પક્ષી અભ્યારણ બનાવવા માટે ફાળવી ૧૯૮૮માં વન વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડીને પક્ષી અભ્યારણ જાહેર કર્યું હતું.
૧૯૯૦માં પાલિકા પાસે જગ્યા મેળવીને પક્ષી અભ્યારણનો વિકાસ શરૂ થયો હતો.પોરબંદર જિલ્લાના જળપ્લાતિત વિસ્તારો અને પક્ષી અભ્યારણમાં સુરખાબ ઉપરાંત ગુલાબી પેણ, કાજીયો, સર્પગ્રીવ બગલો કાંકણીસાર, ટીટોળી, તુલવાર, કુંજ સકકરખોટો, દેવ ચકલી સહિત અનેક પક્ષીઓ આવે છે અને પક્ષીપ્રેમીઓ માટે વાતાવરણમાં રોમાંચ વધી જાય છે.