ધ્રોલ જી.એમ.પટેલ સ્કુલની છાત્રાઓને ફૂડ પોઇઝીંગ થયા બાદ હવે તમામ ભયમુકત
(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૫: ધ્રોલ જી.એમ. પટેલ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી વિધાર્થીનીઓને આજે બપોરે ૧ વાગ્યે કન્યા છાત્રાલયમાં આવેલ ભોજનાલયમાં ભોજન લીધા બાદ ખોરાકી ઝેરી અસર થવાથી ઉલ્ટીની ફરીયાદો ઉઠતા સંસ્થામાં ભાગદોડ મચી જવા પામી હતી અને જોતા જોતા આ ખોરાકી ઝેરની અસર ૧૦૦ જેટલી વિધાર્થીનીઓને લાગુ પડતા તાબળતોબ ખાનગી વાહનો, એમ્બ્યુલસો દોડાવીને ધ્રોલની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતી ત્યાં બેડ ખુટી પડતા ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી અને ધ્રોલના ખાનગી તબીબો પણ મદદે દોડી આવીને સત્વરે સારવાર મળી રહેતા આ તમામ દિકરીઓ ખતરાથી બહાર હોવાનું અને સામાન્ય અસર હોવાનું તબીબોએ જણાવ્યુ હતુ.
આ ઘટના બનતા તાકીદે સંસ્થાના આગેવાનો, ટ્રસ્ટીઓ દોડી આવ્યા હતા અને જી.એમ. પટેલની દિકરીઓને સમયસર સારવાર માટે તબીબોનો સંપર્ક કરીને સારવાર આપવામાં આવી હતી આ બનાવ બનતા થોડા સમય માટે ભાગદોડ મચી જવા પામી હતી ત્યારે હાલમાં આ તમામ દિકરીઓ ખતરાથી બહાર હોવાનું જાણવા મળે છે.
ધ્રોલ જી.એમ.પટેલ છાત્રાલયની ખાતે આજે બપોર બાદ ફૂડપોઈઝીનની અસર થતા તાત્કાલીક સારવાર માટે ખસેડી હતી અને અત્યારે તમામ દીકરીઓની તબિયત સારી છે. અને સ્કૂલના પ્રમુખ સહિત આગેવાનો પણ પહોંચી ગયા છે અને દીકરીઓ સાથે જી.એમ.પટેલ સ્કૂલના ટ્રસ્ટના પ્રમુખશ્રી ઘોડાસરા સહિત આગેવાન ચર્ચા કરી હતી. હાલ અત્યારે તમામ દીકરીઓ ની કોઈપણ તકલીફ નથી તમામની દિકરીઓ ની તબિયત સારી છે અને રાત્રે ૨૪ કલાક સુધી ડોક્ટરની ટીમો પણ ખડેપગે રહેશે તેમજ સમાજના પ્રમુખ આગેવાન સહિત સંસ્થા ખડે પગે અત્યારે ઉભા છે અને તમામ વાલીઓને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી તેવી માહિતી જી.એમ. પટેલ સ્કૂલ ના ટ્રસ્ટી રમેશભાઈ જાકાસણીયા જણાવ્યુ હતુ.