ઘોઘાના ગ્રામ્ય વિસ્તારમાં વિજ ધાંધીયા : ૧પ ગામના લોકો રજૂઆત માટે ભાવનગર દોડી આવ્યા : રોષ
ભાવનગર, તા.રપ : ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે વર્ષથી વિજળીના ધાંધીયા હોય, રોષે ભરાયેલા તાલુકાના ૧પ જેટલા ગામના લોકો રજુઆત માટે ભાવનગર સર્કલ કચેરી ખાતે દોડી આવ્યા હતાં.
ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે વર્ષથી વીજ તંત્ર દ્વારા અનિયમિત વીજ પુરવઠો આપવામાં આવતો હોય ખેડૂતો પરેશાની ભોગવી રહ્યાં છે. આ સમસ્યા અંગે ઘોઘા પી.જી.વી.સી.એલ. કચેરીમાં વારંવાર રજુઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા તાલુકાના ૧પ જેટલા ગામના આગેવાનો, ખેડૂતો રજુઆત માટે ભાવનગરની સર્કલ કચેરી ખાતે દોડી આવ્યા હતાં.
વીજ સમસ્યા અંગે આગવાને માહિતી આપી હતી. ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત રીતે વીજ પુરવઠો આપવામાં આવે તેવી ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.